શનિવાર, ઑગસ્ટ 11, 2007

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં..

શિકાગોના તત્વજ્ઞાની કવિ શ્રી અશરફ ડબાવાલાની એક ખૂબ ગમતી ગઝલની આજે વાત કરીએ...

પહેલા શેરમાં વાત એવા પ્રસંગની છે જ્યારે બહુ જ આંસુ વહાવ્યા પછી પણ દિલનો ભાર હલકો ના થાય અને તમને કલમ પકડવાની ટેવ હોય તો ખડિયા ભરી ભરીને શાહી વપરાય એટલું લખાઈ જાય અને કદાચ.....દિલનો ભાર હળવો થાય..


ઘરમાં એવાં કો'ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.


હવે પછીનો અદભૂત શેર...અશરફભાઈએ પોતે આ શેર વીશે એમ વાત કરી હતી કે, તમે કોઈ માણસને પૂજ્ય માનતા હો અને એના વિશે બહુ ઊંચો અભિપ્રાય રાખતા હો, એ વ્યક્તિ ખરેખર તો સામાન્ય માણસ જેટલી પણ નથી એવી ખબર પડે ત્યારે તમારી લાગણીઓ પર ઊંડો આઘાત થાય છે અને આ વાત તમને દિવસો સુધી ખૂંચ્યા કરે છે. પછી જ્યારે આવો શેર બને ત્યારે તમારી દુભાયેલી લાગણીઓનો મોક્ષ થાય છે!!


ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં;
એક વેંત ઊતરોને ત્યાં તો તળિયા આવે.


આજના યુગના જાણીતા philosofers, self help and positive thinking book writers આ બધા એવું કહે કે નાસીપાસ ના થાવ, તમે જે મેળવવા માંગતા હો એને પામવા માટે મહેનત ચાલુ રાખો અને યાદ રાખો કે તમે જ્યારે સૌથી વધુ નાસીપાસ હશો અને એ દિશાની મહેનત મૂકી દેવા ગંભીરતાથી વિચારતા હશો અને તમને લાગશે કે, હવે એ દિશામાં આગળનો પ્રવાસ અંધકારમય છે ત્યારે જ જો તમે મહેનત હજુ ચાલુ રાખશો તો, અંધકારભર્યો લાગતો રસ્તો એવો વળાંક લેશે જ્યાં અજવાળારૂપી મંઝિલ હાથવગી જ હશે!! હવે...હવે આ જ વાતને romantic સંદર્ભમાં કેવી રીતે મૂકવી હોય એ જાણવું હોય તો અશરફ ડબાવાલાના આ શેર પાસે જવું પડે..


ડગલું એક ભરી શકવાના હોશ નથી, પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.


અને..ગઝલના શેરો લખવા માટે મહેનત કવિની હોય છે..આવડત અને માવજત કવિની હોય છે..પણ આ બધાના હોવાથી દરેક કવિની દરેક ગઝલ અદભૂત નથી બનતી..પણ જ્યારે કવિ પોતાને ઈશ્વરની વધારે નજીક અનુભવે છે એ વખતે લખાતો શેર ઘણી વખત સમયાતીત બની જાય છે..આ વાતને શાયર હવેના શેરમાં કેવી રીતે મૂકે છે એ જુઓ..એ કહે છે મારી બધી આવડત અને કળા અને શબ્દોનો ભંડોળ એ નરસિંહ મહેતાની હૂંડી જેવો છે, એમાં ભગવાન શામળિયા શેઠ બનીને યોગદાન આપે તો મારી ગઝલ ધન્ય બને...


શ્બ્દોની હુંડી લઈ ભાષા સામે ઊભો;
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

1 ટિપ્પણી: