લેબલ ચીનુ મોદી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ચીનુ મોદી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, ઑગસ્ટ 31, 2010

દોસ્ત! હું ભૂંસાઉં છું - ચીનુ મોદી

એક સુંદર ઘટનાના સાક્ષી બનવાનો આજે લહાવો મળ્યો. શ્રી ચીનુ મોદી - ચીનુકાકા ના કાવ્ય સંગ્રહ 'ખારા ઝરણ'નું આજે વિમોચન થયું સાહિત્ય પરષદ ખાતે. જાણીતા સંગીતકાર શ્રી અમર ભટ્ટે આ પ્રસંગે આ જ કાવ્ય સંગ્રહમાંથી થોડી ગઝલને સંગીતબધ્ધ કરીને રજૂ કરી..એમાંની એક બહુ ગમી ગયેલ ગઝલ અહીં તમારા બધા સાથે વહેંચુ છું....



તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે 'ઇર્શાદ' કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.






Available At:
કાવ્ય સંગ્રહ - તાજા ઝરણ (ચીનુ મોદીની કવિતાઓ)
રન્નાદે પ્રકાશન,
૫૮/૨, બીજે માળે, જૈન દેરાસર સામે,
ગાંધીરોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧
ફોન - ૨૨૧૧૦૦૮૧-૬૪
visit - www.rannade.com

રવિવાર, જુલાઈ 27, 2008

જોવું જોઈએ! ....ચીનુ મોદી

શ્રી ચીનુ મોદી - ગુજરાતી ગઝલને એક નવા મુકામ પર મૂકી આપનાર નામ. આજે પણ નિયમિતતાથી શનિ સભામાં આવે...શનિ સભાનો નિયમ એ કે તમારી નવી રચના જ રજૂ કરવાની...બાકીના કવિઓ પાસે નવું કાવ્ય હોય કે નહિં, ચીનુકાકા પાસે તો હોય હોય ને હોય જ! સાતત્યએ શું એ નવા કવિઓને શીખવાડવા માટેનો જ જાણે કિમિયો..પોતે ગુજરાતી સાહિત્ય માટે આટલું કર્યું હોવાનો કોઈ છોછ રાખ્યા વગર..કોઈ ભાર રાખ્યા વગર એકદમ સરળતાથી સહજતાથી કોઈ પણ નવા અવાજને સાંભળવા અને આવકરવા હંમેશા તત્પર..ગઝલમાં એ જે નવો મિજાજ લાવ્યા છે એની એક ઝાંખી કરીએ....

ઝેર જાણી ચાખી જોવું જોઈએ.
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.

તું નથી એવા સમયના સ્થળ વીશે
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.

પારકા બે હાથના સંબંધમાં
લોહી જેવું લાવી જોવું જોઈએ.

ચડિયાને રણમાં રોપો એ પ્રથમ
રેતનું છળ ગાળી જોવું જોઈએ.

ઠાઠ ભભકા એ જ છે ' ઈર્શાદ'ના
ઘર બળે તો તાપી જોવું જોઈએ.

શનિવાર, એપ્રિલ 21, 2007

તો?

શ્રી ચીનુ મોદી એટલે ગુજરાતી કવિતાનો આજનો જાજરમાન અને દબદબાભર્યો પડાવ અને એમના શેરનો મિજાજ તો જુઓ..


ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ પણ,
કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર


એમની એક અભૂતપૂર્વ ગઝલ આજે માણીએ..

આપણા આજના યુગની ખુશનસીબી છે કે સગવડો તીર ઝડપે વધી છે અને સાથે જ એ બદનસીબી છે કે ચિંતાઓ એથી પણ વધુ ઝડપે વધી છે..યુવાન હોય અને વડિલોની આમન્યા રાખતો હોય અને મિત્રોની સોબતમાં એક-બે વ્યસન પાળ્યા હોય એને ચિંતા હોય છે શ્વાસની દુર્ગંધની પકડાઈ જવાની..અને એ જ યુવાનીને જો વિજાતિય આકર્ષણ થયું હોય અથવા કોઈ મિડ-લાઈફ ક્રાઈસિસ વાળા જણે જો લગ્ન બહારનું સાહસ કર્યું હોય તો બીક હોય છે ચર્ચાઈ જવાની..

શ્વાસમાં છલકાય છાની ગંધ તો,
ને બધે ચર્ચાય આ સંબંધ તો?

હવેના શેરની વાત જુઓ..કોઈ તમને એક પંક્તિ સંભળાવે જેમાં મોરનો ટહુકો એના કંઠમાંથી નિકળવાની વાત હોય.તમે વિચાર્યા કરો કે કવિ બીજી પંક્તિમાં આ ટહુકાનું શું કરશે? પણ સાથે સાથે એક આડવાત..કે આપણે આપણા હાથે જ આપણા યુગને એવી દિશામાં લઈ જઈ રહ્યા છીએ જેમાં મોરનો ટહુકો કોઈ વાસ્તવિક નહિ પણ પરિકથામાં આવતી વાત લાગે!

કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો?

મને-તમને કોઈ આંસુની વાત કરે અથવા આંખમાં આંસુ આવે તો આપણો હાથ આંસુ લૂછવા માટે આંખ તરફ જાય કે વિચારો આંસુ પાછળના સુખ અથવા દુ:ખ તરફ જાય..પણ આ કવિ આટલી નાની બહેરના(ટૂંકી પંક્તિના) શેરના બીજી પંક્તિમાં વાતને કેટલી ઉંચી કક્ષા પર લઈ જાય છે..

આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પે...લો ઋણાનુબંધ તો?

અને છેલ્લો શેર..જે વાત ચીનુ મોદી જ કરી શકે..

આપણે સમય સાથે હંમેશા સમય પસાર કરીએ છીએ પણ કોઈ વાર એની સાથે છેડછાડ કરતા નથી..ઊંડા ઉતરતા નથી એમાં..કેમ? આપણે હકિકતમાં કોઈ પણ વસ્તુમાં ઉંડાણમાં જતા નથી..કારણ આપણને બીક છે કે એ ઉંડાણમાં આપણે ખોવાઈ જઈશું તો? એ ખુદથી લાગતી બીક પણ આપણે પ્રામાણિકતાથી સ્વિકારી શકતા નથી અને પોતાનાથી નહિ પણ કોઈ બીજુ આપણને સમયમાં બંધ કરી દેશે કે પેલા ઊંડાણમાં પૂરી દેશે તો?


હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો?