લેબલ નરસિંહ મહેતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નરસિંહ મહેતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, સપ્ટેમ્બર 23, 2008

હળવે હળવે હળવે - નરસિંહ મહેતા

ગુજરાતી કવિતાની વાત કરતા શ્રી સુરેશ દલાલને સાંભળવા એ એક લ્હાવો છે...એ જ્યારે આદ્ય કવિ નરસિંહ મહેતાની વાત કરે ત્યારે લય માટે અને એક જ શબ્દ ફરીથી, ફરી ફરીથી કાવ્યમાં મૂકી એને વધુ સુંદર કેવી રીતે બનાવાય એ વીશે વાત કરવા અહિં આપેલા આ પદનો જરૂર ઉલ્લેખ કરે....

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.

બુધવાર, સપ્ટેમ્બર 03, 2008

જાગીને જોઉં તો - નરસિંહ મહેતા

ગુજરાતી કવિતાના પ્રથમ કવિ - નરસિંહ મહેતાનું ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનું એક જાણીતું પદ. વાંચીને જરૂર એમ લાગે કે 'એના' વિશેની આટલી ઊંડી વાત, તો ખરેખર 'કંઈ' ભાળી ગયેલો વ્યક્તિ જ કરી શકે.


જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;

ભણે નરસૈંયો 'એ તે જ તું,' 'એ તે જ તું,' એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.