લેબલ અશરફ ડબાવાલા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અશરફ ડબાવાલા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, ઑગસ્ટ 22, 2008

અછાંદસ - અશરફ ડબાવાલા

TV Interview-ના પ્રશ્નો

ખરેલા પાનને :

- તમને ડાળ પરથી ખરતી વખતે શી અનુભૂતિ થઈ?

- ઝાડ પરના તમારા વસવાટ દરમિયાન કોઈ નોંધપાત્ર અનુભવો જણાવશો?

- નવા ફૂટતા પર્ણને તમારો શો સંદેશ છે?


સરકસના સિંહને :

- જંગલ અને સરકસમાં તમને શું સામ્ય લાગ્યું?

- તાળીઓ સાંભળીને તમે શું અનુભવો છો?

- તમે રિંગમાસ્ટરને તેનાં બાળકો સાથે રમતાં જોયો છે?


જન્મથી અંધ બાળકને :

- તમે ક્યારેય આકાશને સપનામાં જોયું છે?

- તમને ક્યારેય જોઈ શકનારાઓ પર દયાભાવ ઊપજ્યો છે?

- તમને પહેલીવાર ક્યારે ખબર પડી કે તમે જન્મ્યા છો?



[This was written in year 1977, we thought it is only Today's TV reporters who started this kind of questions - what did you feel when you were inside the well!!!]

સોમવાર, ઑગસ્ટ 04, 2008

ધબકારાનો વારસ.... અશરફ ડબાવાલા

આજે મારા પ્રિય શાયર, શિકાગોવાસી શ્રી અશરફ ડબાવાલા...એમના કાવ્ય સંગ્રહનું શિર્ષક જે ગઝલ પરથી આવ્યું એ ગઝલ પેશ છે.


છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે'વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હૃદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

આ પથરાળા રસ્તાની ઠેસે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

શનિવાર, ઑગસ્ટ 11, 2007

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં..

શિકાગોના તત્વજ્ઞાની કવિ શ્રી અશરફ ડબાવાલાની એક ખૂબ ગમતી ગઝલની આજે વાત કરીએ...

પહેલા શેરમાં વાત એવા પ્રસંગની છે જ્યારે બહુ જ આંસુ વહાવ્યા પછી પણ દિલનો ભાર હલકો ના થાય અને તમને કલમ પકડવાની ટેવ હોય તો ખડિયા ભરી ભરીને શાહી વપરાય એટલું લખાઈ જાય અને કદાચ.....દિલનો ભાર હળવો થાય..


ઘરમાં એવાં કો'ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.


હવે પછીનો અદભૂત શેર...અશરફભાઈએ પોતે આ શેર વીશે એમ વાત કરી હતી કે, તમે કોઈ માણસને પૂજ્ય માનતા હો અને એના વિશે બહુ ઊંચો અભિપ્રાય રાખતા હો, એ વ્યક્તિ ખરેખર તો સામાન્ય માણસ જેટલી પણ નથી એવી ખબર પડે ત્યારે તમારી લાગણીઓ પર ઊંડો આઘાત થાય છે અને આ વાત તમને દિવસો સુધી ખૂંચ્યા કરે છે. પછી જ્યારે આવો શેર બને ત્યારે તમારી દુભાયેલી લાગણીઓનો મોક્ષ થાય છે!!


ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં;
એક વેંત ઊતરોને ત્યાં તો તળિયા આવે.


આજના યુગના જાણીતા philosofers, self help and positive thinking book writers આ બધા એવું કહે કે નાસીપાસ ના થાવ, તમે જે મેળવવા માંગતા હો એને પામવા માટે મહેનત ચાલુ રાખો અને યાદ રાખો કે તમે જ્યારે સૌથી વધુ નાસીપાસ હશો અને એ દિશાની મહેનત મૂકી દેવા ગંભીરતાથી વિચારતા હશો અને તમને લાગશે કે, હવે એ દિશામાં આગળનો પ્રવાસ અંધકારમય છે ત્યારે જ જો તમે મહેનત હજુ ચાલુ રાખશો તો, અંધકારભર્યો લાગતો રસ્તો એવો વળાંક લેશે જ્યાં અજવાળારૂપી મંઝિલ હાથવગી જ હશે!! હવે...હવે આ જ વાતને romantic સંદર્ભમાં કેવી રીતે મૂકવી હોય એ જાણવું હોય તો અશરફ ડબાવાલાના આ શેર પાસે જવું પડે..


ડગલું એક ભરી શકવાના હોશ નથી, પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.


અને..ગઝલના શેરો લખવા માટે મહેનત કવિની હોય છે..આવડત અને માવજત કવિની હોય છે..પણ આ બધાના હોવાથી દરેક કવિની દરેક ગઝલ અદભૂત નથી બનતી..પણ જ્યારે કવિ પોતાને ઈશ્વરની વધારે નજીક અનુભવે છે એ વખતે લખાતો શેર ઘણી વખત સમયાતીત બની જાય છે..આ વાતને શાયર હવેના શેરમાં કેવી રીતે મૂકે છે એ જુઓ..એ કહે છે મારી બધી આવડત અને કળા અને શબ્દોનો ભંડોળ એ નરસિંહ મહેતાની હૂંડી જેવો છે, એમાં ભગવાન શામળિયા શેઠ બનીને યોગદાન આપે તો મારી ગઝલ ધન્ય બને...


શ્બ્દોની હુંડી લઈ ભાષા સામે ઊભો;
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

રવિવાર, એપ્રિલ 29, 2007

રમતથી જે ડરે છે...

આજે વાત કરવી છે શિકાગોમાં ઠરી ઠામ થયેલા પણ મૂળ જામનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને શિકાગોના સંપૂર્ણ પ્રદેશમાં મિત્રોની મદદ લઈને 'શિકાગો આર્ટ સર્કલ' દ્વારા ગુજરાતી સહિત્ય અને કલાની વિવિધ એક્ટિવીટીમાં પ્રવ્રુત્ત છે અને ગુજરાતી કવિતાને ત્યાં ધબકતી રાખી છે એ અને એ બધાથી વિશેષ તો એક મૂઠ્ઠી ઊંચેરા કવિ જેમની કવિતામાંનુ તત્વજ્ઞાન જોઇ બહુ સહેલાઈથી તમને શ્રી રાજેન્દ્ર શુક્લ યાદ આવે, એવા શ્રી અશરફ ડબાવાલાની ...

એમનો અંદાઝે-બયાં તો જુઓ...

જો આપ તો શબ્દોમાં મને કોઇ છટા દે,
નહિતર તું મને મૌનમાં મોકાની જગા દે.

એમની એક સુંદર ગઝલ માણીએ..

વિલ-ડુરાં કહેતા કે આપણે જે દિવસે રમતના મેદાનમાં રમવાનું છોડીને બાજુમાં બેસીને તાલીઓ પાડવા માંડીશુ તે દિવસે આપણે જિંદગીની રમત હારી જઈશું..વાત છે કોઈ પણ મુશ્કેલ પરિસ્થીતિ સામે લડવાની - એમાં રમવાની - પીઠ બતાવવાની નહિ.. આ જ વાતને કેન્દ્રમાં રાખીને કવિ આપણને એક નિર્દોષ સવાલ પૂછે છે, જેનો અર્થ સમજાય ત્યારે આપણે અંદરથી હચમચી જઈએ..

રમતથી જે ડરે છે એના ભયના કેન્દ્રમાં શું છે?
રમતમાં જીતનારાના વિજયના કેન્દ્રમાં શું છે?


આપણી આસપાસ ચોમેરના અવાજો, અવાજો, અવાજો અને અવાજો આપણી અંદરની શાંતીને ખળભળાવી નાખે ત્યારે ?

અવાજો નાદ ને શબ્દો બધાથી થઈ ગયા માયૂસ;
હવે તો મૌનને પૂછો કે લયના કેન્દ્રમાં શું છે?

કોઈ વખત વાત કહેવાઈ પણ ના હોય અને એવી વાત હોય કે એ કહેતા જીભ ઉપર મણ મણનું વજન અનુભવાતુ હોય ત્યારે સાંભળનારને એ સંકોચ, હિચકિચાહટ જ ઘણુ બધુ કહી જતો હોય છે...

બિચારી વાત તો જીભે જ આવીને ઠરી ગઈ'તી;
અને સૌ જાણવા માંડ્યા વિષયના કેન્દ્રમાં શું છે?

દિવસ રાત ધબક્યા કરીને જે લોહીને શુધ્ધ રાખે છે એ હ્રદય અને સતત આવન-જાવન કરીને શરીરને ચાલતું રાખનાર શ્વાસોની આપણને બહુ કિંમત નથી હોતી જ્યાં સુધી બધુ બરાબર ચલે ત્યાં સુધી...

ધબકતું લોહી ને શ્વાસો ઢળીને સાંજ થાશે, ને -
તને તરત જ ખબર પડશે હ્રદયના કેન્દ્રમાં શું છે?

સુરજ ઢળે ત્યારે જો આપણે જાગતા હોઈએ તો આપણને ખ્યાલ આવે છે એના અસ્તનો...પણ હજુ આપણી બુધ્ધી પાસે સૌર્ય મંડળની હયાતી, એના સંચાલન - સુરજનું ઉગવુ આથમવુ, બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યુ એના માટે 'બિગ બેંગ' જેવી અપૂર્ણ થિયરી સિવાય કોઈ સજ્જડ જવાબો નથી, એના માટે તો હજુ સ્વપ્ન જેવી અવસ્થા જેમાં આપણું 2/3 અજ્ઞાત મન સહુથી વધુ જાગ્રુત હોય છે એના પર જ આધાર રાખવો પડે! હવે આ વાતને બે પંક્તિમાં મૂકવા માટે તમારે મોટા ગજાના કવિ અને એથી મોટા ગજાના વિચારક હોવું ઘટે...

ભલેને અસ્ત સૂરજનો તને આંખો જ સમજાવે;
તને સપનું જ કે'શે કે ઉદયના કેન્દ્રમાં શું છે?

અને બે છેલ્લા મને સૌથી ગમતા શેર..

બે માણસો ભેગા થાય જિંદગીભર જીવવા માટે..પતિ-પત્ની તરીકે..તો એક્બીજાની સામસામે કે સાથસાથે ઉભા રહીને એકબીજા સમજવાનો પ્રયત્ન કરવા કરતા એકબીજા તરફ પીઠ રાખીને એમના સંસારના વર્તુળના પરિઘ જેવા વિશ્વ માટે જીવે છે..લોકોને કેવું લાગશે? પણ બાજુમાં જ સાથે કેન્દ્રમાં ઉભેલા જોડીદારનું શું??

અહીં બે માણસો જીવે બનાવી વિશ્વને વર્તુળ;
પરંતુ બેઉના જાણે ઉભયના કેન્દ્રમાં શું છે?

આપણા દરેક માટે રોજ-બરોજની સમસ્યાઓ અને એનો ઉકેલ એ દ્રોણે અર્જુનને આપેલ ચકલીની આંખ વિંધવાની કસોટી જેવી છે.. અને આ સમસ્યાઓથી થાકીને જો વિષાદ ઉતપન્ન થાય કે આ સઘળું વ્યર્થ છે તો એની પાસે તો દ્રોણ હતા..સમસ્યાનો ઉકેલ સમજાવવા..પણ મારા તમારા જેવા દ્રોણ વગરના અર્જૂનોનું શું?

મને આ ઝાડ, ચકલી, વ્યોમ સઘળું વ્યર્થ લાગે છે;
મને હે દ્રોણ! સમજાવો સમયના કેન્દ્રમાં શું છે?