લેબલ સૈફ પાલનપુરી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સૈફ પાલનપુરી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, જૂન 18, 2010

કાગડાની કવિતા....

શહેરમાં કદાચ એ દેખાતા ઓછા થઈ ગયા છે એટલે કવિતામાં પણ નથી દેખાતા, કાગડા વીશે આ નોંધ સાથે સૈફ પાલનપુરી અને રમેશ પારેખની ગઝલમાં કાગડાની વાત જોઇએ.

ઘરે કોઈના આવવાની એંધાણી કાગડાના આવવાથી થાય છે એ માન્યતા પર સૈફ પાલનપુરી એક અદભૂત શેર આપે છે. કદાચ શહેરમાં કાગડા ઓછા થવાની સાથે ઘરે આવતા મહેમાનો પણ ઘટી ગયા છે!!

ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.


આ જ વિષય પર એક મારો શેર -

કાગડો કહે, એકલું ઘર,
કો'કની લાગી નજર છે.

આખી ગઝલ અહીં -
http://www.gunjarav.com/2008/12/blog-post.html




અને હવે રમેશ પારેખની આખેઆખી ગઝલ - સડક પર મૃત માણસ જોવા છતાં કંઈ સંવેદના કે દુઃખની લાગણી ના થાય તો કાગડો મરી જાય તો તો ક્યાંથી થાય? જો રમેશ પારેખ હો તો જ આવું કંઇ થાય!

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો.

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો.

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો?
ગમે તે અર્થ ઘટાવ, કાગડો મરી ગયો.

શું કામ જઇને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો.

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને - કાંવ...કાંવ કાગડો મરી ગયો.

સદાય મૃતદેહ ચૂથી કોને એમાં શોધતો?
લઇ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.

લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ : ‘કાગડો મરી ગયો’...

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા....
You sotp…stop…stop…now કાગડો મરી ગયો.


છંદ વિધાન - લગા લગા લગા......... (કૃષ્ણાષ્ટ્કમમાં પણ આ જ છંદ છે! - ભજૈ વ્રજૈ કમંડનમ, સમસ્ત પાપ ખંડનમ....)

રવિવાર, નવેમ્બર 23, 2008

પોતાની અદેખાઈ - સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરીને યાદ કરીને પરંપરાની એક ગઝલ માણીએ.


તમારું પાત્ર આવ્યું- તો જ આવી છે કંઈક સરખાઈ
મને પણ જિંદગીની વાર્તા ત્યારે જ સમજાઈ

હું મારી દુર્દશા માટે તો કારણભુત છું પોતે
જુએ છે કેમ તેઓ આમ મારી સામે ગભરાઈ

ક્ષિતિજ પર આભ ધરતીનાં મિલન અંગે તમે યારો
મને ના પૂછશો કે હું ગયો છું ખૂબ વ્હેમાઈ

મલાજો સ્વપ્ન સાથેનાં સંબંધોનો રહ્યો એવો
તમે આવ્યાં નજર સામે છતાંએ આંખ મીંચાઈ

શું મારા વેશપલટામાં કોઈ ખામી રહી ગઈ'તી?
અરીસામાં મને મારી જ સૂરત કેમ દેખાઈ?

કોઈ ત્રીજું ન આવે આપણી વચ્ચે એ કારણસર
કરી લઉં છું હું પોતે મારી પોતાની અદેખાઈ

તમારું "સૈફ" આ સૌજન્ય પણ ભારે નિરાળું છે
સ્વીકારો છો તમારા પર તમારી ખુદની સરસાઈ

સોમવાર, ઑક્ટોબર 13, 2008

સીધો પરિચય- સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરીની એક ગઝલ- અને એના વીશેની વાત કરવાની ગુસ્તાખી કર્યા વગર ફક્ત એના તરફ અંગુલી નિર્દેશ કરવો છે કે "કળામય અપેક્ષા"નો ગુજરાતી ગઝલનો યાદગાર શેર આ ગઝલમાંથી મળી આવે એમ પણ બને...



અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
રૂદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે
આ મારું મન, ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદ તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે "સૈફ" સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

શનિવાર, સપ્ટેમ્બર 13, 2008

ચુનંદા શેર ને મુક્તક - સૈફ પાલનપુરી

મૅટ્રિકની પરીક્ષામાં નાપાસ થવાની ખુશાલીમાં મીત્રોને બાલારામની પિકનિક પર લઈ જનાર શાયર સૈફ પાલનપુરીના કેટલાક શેરો ને મુક્તક માણીએ.....

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી
બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા.

**************

બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને ખુદાની કોઈ બાતમી હતી.

**************

હવે તો 'સૈફ' ઈચ્છું છું કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.

**************

ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.

**************

હું તો વિચારતો રહ્યો ખૂણે ઊભો રહી,
મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.

**************

પહેલા સમું તરસનું એ ધોરણ નથી રહ્યું,
પાણી મળે છે તો ય હવે પી જવાય છે.

**************

જીવી રહ્યો છું કિન્તુ જીવન લાગતું નથી,
એવું મરી ગયું ગયું છે કે મન લાગતું નથી.
લાગે છે મારી લાશને ઊંચકી લીધી છે મેં,
દુઃખ આવે છે તો એનું વજન લાગતું નથી.

**************

કદી વસતી મહીં ભૂલા પડ્યા છો ?
હૃદય જેવા હૃદય સાથે લડ્યા છો ?
મોહબ્બત શું છે ? શું સમજાવું તમને -
કદી કોઈ વાર તહેવારે રડ્યા છો ?

રવિવાર, ઑગસ્ટ 17, 2008

નિસ્બત છે અમારે ધરતીથી - સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરી - પરંપરાના શાયર. બહુ જ સુંદર સંચાલન પણ કરતા એમ પણ સાંભળ્યું છે. એમની એક નખશીખ સુંદર ગઝલને લઈ સૌમિલ-શ્યામલ મુનશીએ સંગીતના વાઘા પહેરાવીને એની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા છે.


નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

નોંધ : જયશ્રીએ એને શબ્દ સ્વરૂપે ટહૂકો પર અહીં મૂકી હતી.