શનિવાર, ઑગસ્ટ 16, 2008

ટેબલ વિશે ગઝલ.....નયન દેસાઈ

એક પ્રયોગખોર ગઝલકારની ગઝલ -

થાક હવે ડૂબતા સૂરજની જેમ ઢળે છે, લ્યો, ટેબલને તાળું મારો !
સાંજ પડી ને છતમાંથી એકાંત ગળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આમ જુઓ તો આ ટેબલ પર ડાઘ પડ્યા છે કૈં વરસોના, કૈં સ્વપ્નોના,
એમ વિચારો ત્યાં ભીતરથી કૈંક બળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

કાલ ઊઠીને આ ટેબલને ડાળ ફૂટે તો એને ટેકે જીવતર ચાલે.
કઈ ઓફિસમાં હોવાની સી.એલ. મળે છે ? લ્યો, ટેબલને તાળું મારો !

રોજની જેમ જ લોઢ ઊછળતા ટેબલ પૂરમાં, આખી ઓફિસ ડૂબવા માંડી,
હાથ હજી પણ ફાઈલના વનમાં રઝળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આ જ હતું ટેબલ કે જેણે ફૂલગુલાબી મઘમઘતા કૈં પત્રો વાંચ્યા,
આજ હવે ખાનામાં 'જનકલ્યાણ' મળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

શુક્રવાર, ઑગસ્ટ 15, 2008

પછી પણ - ચંદ્રેશ મકવાણા 'નારાજ'

ગુજરાતી કવિતાનો નવો અવાજ અને મિજાજ.



એકાદ સ્વપ્ન આંખને અડકી ગયા પછી પણ,
હું જીવતો રહ્યો છું, સળગી ગયા પછી પણ.

કોરો હતો હું, પલળ્યો, પાછો થયો છું કોરો,
ક્યાં ફેર કંઈ પડ્યો છે, સુધરી ગયા પછી પણ.

એકાદ પાંદડીએ અકબંધ તો નથી ને?
આવી રહ્યા છે જોવા, મસળી ગયા પછી પણ.

જાકારો આપવાની જગ્યા જ ક્યાં રહી છે?
ભટકી રહ્યા છે રાઘવ, શબરી ગયા પછી પણ.

પાંપણ જરા ન ફરકી, નિષ્ઠુર ગાળિયાની,
આખા નગરની આંખો પલળી ગયા પછી પણ.

મૂરખો છે સાવ મૂરખો 'નારાજ' મૂળમાંથી,
બોલી રહ્યો છે સત્યો, સમજી ગયા પછી પણ.

ગુરુવાર, ઑગસ્ટ 14, 2008

મારું જીવન એ જ મારી વાણી - ઉમાશંકર જોશી

આઝાદી નામની ઘટના માટે જેનું મોટું યોગદાન હતું એવા વ્યક્તિત્વને યાદ કરીએ, શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં.

સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ


મારું જીવન એ જ મારી વાણી,
બીજું એ તો ઝાકળ પાણી.

મારા શબ્દો ભલે નાશ પામો,
કાળ ઉદર માંહી વીરામો.
મારા કૃત્ય બોલી રહે તો ય,
જગ એ જ કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આધાર,
જેમાં સત્યનો જયજયકાર.
મારું જીવન એ જ મારી વાણી...........

સત્ય ટકો, છો જાય આ દાસ,
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી,
એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મૃત્યુ સ્વદેશ,
મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન એ જ મારી વાણી...........

બુધવાર, ઑગસ્ટ 13, 2008

નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો - શેખાદમ આબુવાલા

શ્રી શેખાદમ આબુવાલાનું નામ સાંભળ્યું છે, અવાજ સાંભળ્યો છે? જો હા, તો એની યાદ તાજા કરો અને જો ના, તો એ કેવો હશે એવો પોતાની જાતને કોઈ વખત પૂછાઈ જતા પ્રશ્નનો ઉત્તર આપો.


તા.ક. : અને હા કોઈ વખત સૌમિલ મુનશી મળી જાય ને મૂડમાં હોય તો અદ્દલ શેખાદમની સ્ટાઈલમાં એમની ગઝલ સાંભળવી ભૂલશો નહિં.


નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો,
એ રીતે કંઈકવાર અકારણ ખુદા મળ્યો.

આ બે ઘડીને માટે જમાના વીતી ગયા,
લાખો યુગો વીત્યા પછી બે ક્ષણ ખુદા મળ્યો.

છે સર્વવ્યાપી એટલે એમાં નવું નથી,
મંદિરમાં ઝાંખી જોયું તો ત્યાં પણ ખુદા મળ્યો.

થાકીને બંદગીથી અમે કોશિશો કરી,
જ્યારે અમારું થઈ ગયુ તારણ, ખુદા મળ્યો.

એ છે, નથી, હશે અને ના હોઈ પણ શકે,
કરવા ગયો જ્યાં એનું નિવારણ ખુદા મળ્યો.

પયગંબરી નથી મળી તો પણ થઈ કમાલ,
ઊંચુ હશે અમારુંય ધોરણ, ખુદા મળ્યો.

આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.

[સાભાર - સર્જક અને શબ્દ સંપુટ 4]

નોંધ - શ્રી સુભાષ શાહે 'સર્જક અને શબ્દ' અભિયાન હેઠળ પાંચ સંપુટ આપ્યા છે - જે દરેક સંપુટમાં દસ ઓડિયો સીડી છે અને એક સંપુટની કિંમત 500 રુપિયા. એમનો સંપર્ક કરી શકાય - 9426080185. યુ.એસ.એ. કે ઓસ્ટ્રેલિયાની સંપર્ક માહિતિ અને દરેક સંપુટની વધારે વિગતો http://gujaratexclusive.com/contact.html

મંગળવાર, ઑગસ્ટ 12, 2008

અમને દોડાવ્યા – મનોજ ખંડેરિયા



ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

Quiz – મક્તાનો (છેલ્લો) શેર વાંચીને તરત ‘વરસોના વરસ લાગે’ ગઝલનો કોઈ શેર યાદ આવે છે??

સોમવાર, ઑગસ્ટ 11, 2008

ગઝલમ શરણમ ગચ્છામી - હરદ્વાર ગોસ્વામી

મારા પ્રિય મીત્ર કવિ અને સફળ સંચાલક હરદ્વાર ગોસ્વામીની એક સુંદર ગઝલ આજે એના પોતાના અવાજમાં -


દોસ્ત, ધજા થઈ ગઈ પત્થરની, ગઝલમ શરણમ ગચ્છામી,
પોલ ખૂલી ગઈ સહુ ઈશ્વરની, ગઝલમ શરણમ ગચ્છામી.

આંસુને અત્તર કરવા સપનાનો સૂરમો આંજ્યો, પણ-
ઉંઘ ઉડી ગઈ છે બિસ્તરની, ગઝલમ શરણમ ગચ્છામી.

નવસો નવ્વાણું દરવાજે તારા સ્વસ્તિક ચિતરાશે,
સાંકળ વાસી દે તું ઘરની, ગઝલમ શરણમ ગચ્છામી.

કલ્પતરુના છાયા ઓઢ્યા તો પણ તડકા રગરગમાં,
અઢળક પીડાઓ અંદરની, ગઝલમ શરણમ ગચ્છામી.

એકે તો ઓગળવું પડશે, કેમ સમાશું બન્ને જણ,
ગલી સાંકડી પ્રેમ નગરની, ગઝલમ શરણમ ગચ્છામી.

હવે પાંપણોમાં અદાલત ભરાશે....રમેશ પારેખ/પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌ પ્રથમવાર આ બ્લોગ પર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકન અને એમના જ અવાજમાં એક રમેશ પારેખની ગઝલ -



હથેળી બહુ વ્હેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.*

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

મને આ નગરમાં નિરાધાર છોડી,
-ને રસ્તા બધા કોની પાછળ ગયા છે.

આ તડકામાં આંખોપણું યે સુકાયું,
હતી આંખ ને ફક્ત ખાડા રહ્યા છે.*

છે, આકાશમાં છે ને આંખોમાં પણ છે,
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણાં છે.

કહે છે કે તું પાર પામી ગયો છે,
પરંતુ અસલમાં એ દરિયો જ ક્યાં છે.*

પહાડો ઊભા રહીને થાક્યા છે એવા,
કે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે.

મને ખીણ જેવી પ્રતીતિ થઈ છે,
કે હું છું ને ચારે તરફ ડુંગરા છે.

ગઝલ હું લખું છું અને આજુબાજુ,
બધા મારા ચહેરાઓ ઊંઘી રહ્યા છે.

નોંધ: છ અક્ષરના નામે લખેલા * કરેલા શેર, પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયા નથી.

શનિવાર, ઑગસ્ટ 09, 2008

ગઝલરૂપ! - ફકીર

વાત આજે માંડવી છે 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં થયેલી ગઝલ(જેવી) રચનાઓની. કહેવાય છે કે શયદા સાહેબે ગુજરાતી ગઝલને એના સાચા અંતર સ્વરૂપ (ગુજરાતી પણું) અને બાહ્યરૂપ (શુધ્ધ છંદ, રદીફ, કાફિયા) સાથે રજૂ કરી - એમનો આજથી કેટલાય દાયકાઓ પહેલા લખાયેલો આ શેર જુઓ - એનો અદભૂત આધુનિક રદિફ જુઓ :
હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ, વિચાર.

પણ એમની પહેલાના કવિઓ એટલે કે કલાપી, બાલાશંકર કંથારિયા, દિવાનો, ફફીર વગેરે ઘણા બધાએ મહદઅંશે ગઝલનું રૂપ જાળવીને જે રચનાઓ આપી - એક રીતે જોતા આજની લખાતી ગુજરાતી ગઝલની ઈમારતના પાયા જેવી - એ પાયામાંની એક ઈંટ આજે સ્મરીએ.. રચના છે ફકીરની. એમનામાં ચીનુ મોદીને આદીલ સાહેબનો પૂર્વજ દેખાય છે - તમને શું લાગે છે?

વ્યથાઓ જીવનની અદા થઈ ગઈ;
અદાઓ તમારી બલા થઈ ગઈ.

વફાની ન ખાહિશ રહી છે હવે -
વફાઓ અમારી ખતા થઈ ગઈ.

તસલ્લી હતી દિલને તદબીરથી-
ઘડીભરની કિસ્મત ફના થઈ ગઈ.

વિરહની નવાજિશ થઈ પ્રેમમાં -
ખુશી જિંદગીથી ખફા થઈ ગઈ.

હૃદયની તમન્નાને દફનાવવા-
હજાર આફતો છે જમા થઈ ગઈ.

ભમે છે નિગાહો હવે ચોતરફ;
દિવાની અરેરે! હયા થઈ ગઈ.

તિમિર કંઈ દિસે છે નજરમાં હવે;
વિરહ-રાત્રિઓ, શું ઉષા થઈ ગઈ.

નિહાળીને એને ગઝલ-રૂપમાં -
'ફકીર' જાન મારી ફિદા થઈ ગઈ.

શુક્રવાર, ઑગસ્ટ 08, 2008

લાગણીની તિજોરી - સરૂપ ધ્રુવ

પોતાની તેજાબી કલમ માટે જાણીતા કવિયત્રી શ્રી સરૂપ ધ્રુવની એક ગઝલ,


સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે? આ શાનો ધખારો?

અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં? ફરી શો તમાશો?

મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે! પીગળી ક્યાં બરફની વખારો?

હતી ચોતરફ બસ, સફેદી-સફેદી...
અહીં ગોઠવી'તી મેં મારી જ લાશો.

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

ચલો! લો, ઉઠાવો આ લંગર ગઝલનું,
અંજળ ઊઠ્યાં છે, રુઠ્યો છે કિનારો!

[નવનીત સમર્પણ, માર્ચ, '85માંથી સાભાર]

ગુરુવાર, ઑગસ્ટ 07, 2008

કાગળના કોડિયાનો - રવિન્દ્ર પારેખ/આશિત દેસાઈ

આજે શ્રી આશિત દેસાઈનું એક ખૂબસૂરત સ્વરાંકન એમના જ અવાજમાં – શ્રી રવિન્દ્ર પારેખના શબ્દો. ગીતમાં તાલનો કરેલો વિશિષ્ટ ઉપયોગ અને આલાપ દેસાઈએ એમાં જે રીતે સાથ નિભાવ્યો છે એ પણ દાદ પાત્ર છે....અને રસાસ્વાદ શ્રી તુષાર શુક્લ દ્વારા એમના પોતાના મિજાજમાં!



કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?,
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ, પછી ટહૂકાથી દૂર કેમ રહીએ?

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે એનો છેડો ભીંજાશ સુધી રાખમા,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું વરદાન મળે બળતા વૈશાખમાં,
બળવું જો કાજળની હોડી થઈ જાય, ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ.
કાગળના કોડિયાનો....

શ્વાસોની સળીયુંને ભેગી મેલીને કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન, એમ યાતનાને રંગ ફૂટે કાળો,
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ, ત્યારે મરવાથી દૂર કેમ રહીયે.
કાગળના કોડિયાનો....

નોંધ: શબ્દો સાંભળીને લખ્યા હોવાથી ક્યાંક ભૂલ જેવું લાગે તો તુરંત ધ્યાન દોરવા વિનંતિ.