રવિવાર, ઑગસ્ટ 17, 2008

નિસ્બત છે અમારે ધરતીથી - સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરી - પરંપરાના શાયર. બહુ જ સુંદર સંચાલન પણ કરતા એમ પણ સાંભળ્યું છે. એમની એક નખશીખ સુંદર ગઝલને લઈ સૌમિલ-શ્યામલ મુનશીએ સંગીતના વાઘા પહેરાવીને એની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા છે.


નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

નોંધ : જયશ્રીએ એને શબ્દ સ્વરૂપે ટહૂકો પર અહીં મૂકી હતી.

1 ટિપ્પણી:

  1. ખૂબ જાણીતી ગઝલની સૌમિલ-શ્યામલ મુનશીના સ્વરમા મધ્ર ગાયકી
    pragnajuvyas

    જવાબ આપોકાઢી નાખો