મંગળવાર, સપ્ટેમ્બર 30, 2008

સાચુકલો અવાજ - જવાહર બક્ષી

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે.... સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ તે ઘર,
એવુ તે શું કે આખું જીવન જાય દ્વારમાં.

શ્રદ્ધા તો ઠીક કોઇ અશ્રદ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં.

સોમવાર, સપ્ટેમ્બર 29, 2008

ગઝલ- ગૌરાંગ ઠાકર

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલીને હવે છત્રી ધરો નહીં.

કોરું કપાળ લઈ પૂછે વિધવા થયેલ સાંજ,
અવસાન સૂર્યનું ને કશે ખરખરો નહીં.

એવું બને કે હું પછી ઊંચે ઊડ્યા કરું,
પાંખોમાં મારી એટલા પીંછા ભરો નહીં.

ક્યારેક ભયજનક વહે અહીંયા તરસના પૂર,
મૃગજળ કિનારે વ્હાલ તમે લાંગરો નહીં.

હું મ્હેક, પર્ણ, છાંયડો, માળો દઈ શકું,
પણ આપ મૂળથી મને અળગો કરો નહીં.

રવિવાર, સપ્ટેમ્બર 28, 2008

મુક્તક - ગુંજન ગાંધી

એક મુક્તક-

હુંફનું વ્યાકરણ શીખવા ક્યાં જવું?
ભીડનું આવરણ ભેદવા ક્યાં જવું?

જીંદગી વીતતી જેમની છાંયડે,
તાપનું અવતરણ પૂછવા ક્યાં જવું?

શનિવાર, સપ્ટેમ્બર 27, 2008

ગઝલ - રશીદ મીર

શ્રી રશીદ મીરની એક ગઝલ-

સાચ જેવા સાચની અફવા ન કર,
આપણા સંબંધની ચર્ચા ન કર.

પાછલો વરસાદ ક્યાંથી લાવવો,
આટલા વર્ષે હવે ઇચ્છા ન કર.

એક પડછાયાને કેટલો વેતરું?
સૂર્ય સામે મારું કદ માપ્યા ન કર.

ભીંત બેસી જાય તો સારું હવે,
ક્યાં છબી ટાંગી હતી જોય ન કર.

આગનો દરિયો છે ચડતો જાય છે,
ડૂબવાનું હોય છે જોયા ન કર.

એ ચાહે છે પ્રેમ કરવાને ફરી,
'મીર' પાછા પારખા વખના ન કર.

શુક્રવાર, સપ્ટેમ્બર 26, 2008

વિકલ્પ નથી - મનોજ ખંડેરિયા

આ લો શ્રી મનોજ ખંડેરિયાની એક સાદ્યંત સુંદર ગઝલ. મત્લામાં કહે છે સત્યનો પણ સૂર્યની જેમ કોઇ વિકલ્પ નથી. વળી બીજા એક શેરમાં કહે છે...આપણા શરીર અને આત્મા વચ્ચેનું યુધ્ધ આજે નહિં તો કાલે, આ નહીં તો આવતા જન્મે, થવાનું તો છે જ.



બધાનો હોઇ શકે સત્યનો વિકલ્પ નથી,
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પતાળે શાખ બધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી.

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચલે ગઝલની રગરગમાં.
જરુરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

ગુરુવાર, સપ્ટેમ્બર 25, 2008

ગર્ભપાત....! - એષા દાદાવાળા

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો,
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો...!
માનાં પેટમાં બચ્ચું આકાર લે
બસ એમ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં...
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં....!
ત્યાં અચાનક
પોપચાં ફડક્યાં,
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ લાલ થઇ ગયો.
આંખો ખુલી ગઇ
અને
ફરી એકવાર
કસમયે
ગર્ભપાત થઇ ગયો એક સપનાંનો...!

બુધવાર, સપ્ટેમ્બર 24, 2008

ગઝલ - ઉર્વીશ વસાવડા

શ્રી ઉર્વીશ વસાવડાની એક તાજી ગઝલ-


આ ચરણને શું થયું છે એ જ સમજાયું નહીં,
બારણા ખોલ્યા પછી પણ બહાર નીકળાયું નહીં.

રંગ, પીંછી, કાગળો, ને આંખ સામે એ હતા,
ચિત્ર એનું તે છતાં મારાથી ચિતરાયું નહીં.

ખીણની ધારે ઊભા રહી નામ જે વ્હેતું કર્યું,
છે પ્રતિક્ષા આજ પણ, એ નામ પડઘાયું નહીં.

કૈક તો ઓછપ હશે આ આપણી પીડા મહીં,
એટલે તો આંસુઓનું પાત્ર છલકાયું નહીં.

પત્રની પહેલી લીટીના સહેજ સંબોધન પછી,
એ અભિવ્યક્તિનું ધોરણ ક્યાંય જળવાયું નહીં.

મંગળવાર, સપ્ટેમ્બર 23, 2008

હળવે હળવે હળવે - નરસિંહ મહેતા

ગુજરાતી કવિતાની વાત કરતા શ્રી સુરેશ દલાલને સાંભળવા એ એક લ્હાવો છે...એ જ્યારે આદ્ય કવિ નરસિંહ મહેતાની વાત કરે ત્યારે લય માટે અને એક જ શબ્દ ફરીથી, ફરી ફરીથી કાવ્યમાં મૂકી એને વધુ સુંદર કેવી રીતે બનાવાય એ વીશે વાત કરવા અહિં આપેલા આ પદનો જરૂર ઉલ્લેખ કરે....

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.

સોમવાર, સપ્ટેમ્બર 22, 2008

ગઝલ - મધુમતી મહેતા

શ્રી અશરફ ડબાવાલાની ગઝલની જેઓ પ્રેરણા છે, અને પોતે ખૂબ સુંદર ગઝલો લખે છે એવા શ્રી મધુમતી મહેતાની એક ગઝલ.



પગ પગથિયાં દાદરા જાણી લીધા,
થોભવાના કાયદા જાણી લીધા.

એ રહે અકબંધ કે તૂટે ભલે,
મેં જગતના આયના જાણી લીધા.

ફૂલ ખૂશ્બૂ સાચવી બેસી જશે,
જો ભ્રમરના વાયદા જાણી લીધા.

પાંદડા ગણવા વિશેની ઘેલછા,
છોડી તો મેં છાંયડા જાણી લીધા.

બંધ ઘરને દઇ ટકોરો એમણે,
ભીંત ભોંગળ બારણાં જાણી લીધા.

હું તબીબોથી હણાયો એટલો,
મેં મરણના ફાયદા જાણી લીધા.

બેસશું વાળી પલાંઠી આંગણે,
કુંભમેળા ડાયરા જાણી લીધા.

સર્વ આકારો તજીને છેવટે,
તાપ ભઠ્ઠી ચાકડા જાણી લીધા.

રવિવાર, સપ્ટેમ્બર 21, 2008

ગઝલ- ચંદાને- કાન્ત

આપણા પ્રારંભિક ગઝલકારો અરબ-ફારસી અને ઉર્દૂના શબ્દો ગઝલમાં વધુ વાપરતા, એટલે બહુ જૂજ ગઝલકારોએ શુધ્ધ ગુજરાતીમાં ગઝલ કરી છે..બહેર, રદિફ, કાફિયાની જાળવણીનું શૈથિલ્ય તો ખરું જ..પણ આવા સમયમાં કાન્ત પહેલી નખશીખ ગુજરાતી ગઝલ આપે છે-'ચંદાને'. વળી રદિફ, કાફિયા, બહેર પણ બરોબર જળવાયા છે. વધુ ચર્ચામાં ના જઇને ગઝલ જ માણીએ.



તને હું જોઉં છું, ચંદા! કહે, તે એ જુએ છે કે?

અને આ આંખની માફક કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને,

વખત હું ખોઉં છું તેવો શું; કહે તે એ ખુએ છે કે?

સખી! હું તો તને જોતા, અમે જોએલ સાથે તે,

સ્મરતાં ના શકું સૂઇ! કહે સાથી સુએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં

હૃદયનાં ધોઉં છું પડ હું; કહે, તે એ ધુએ છે કે?