મંગળવાર, સપ્ટેમ્બર 23, 2008

હળવે હળવે હળવે - નરસિંહ મહેતા

ગુજરાતી કવિતાની વાત કરતા શ્રી સુરેશ દલાલને સાંભળવા એ એક લ્હાવો છે...એ જ્યારે આદ્ય કવિ નરસિંહ મહેતાની વાત કરે ત્યારે લય માટે અને એક જ શબ્દ ફરીથી, ફરી ફરીથી કાવ્યમાં મૂકી એને વધુ સુંદર કેવી રીતે બનાવાય એ વીશે વાત કરવા અહિં આપેલા આ પદનો જરૂર ઉલ્લેખ કરે....

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.

2 ટિપ્પણીઓ: