મંગળવાર, નવેમ્બર 18, 2008

ગઝલ - ખલીલ ધનતેજવી

આપણા જાણીતા શાયર શ્રી ખલીલ ધનતેજવીની એક ગઝલ.....


નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી'તી ઘણા વર્ષો થયા તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

5 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત11/18/2008 11:54 PM

    શ્રી ખલીલ ધનતેજવીની ગઝલ એમના પડછંદ અવાજમાં સાંભળવી એ,એક અલગ જ લ્હાવો છે.એક એક શબ્દ પાસે પોતાનું અલગ ઐશ્વર્ય હોય છે- હું રાજકોટમાં છેલ્લે એમને જનાબ આદિલસાહેબ સાથે મળેલો હેમુ ગઢવી હોલમાં,હજુ ય એ બુલંદ અવાજ પડઘાય છે સ્મરણ વિશ્વમાં.......

    જવાબ આપોકાઢી નાખો
  2. હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
    ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

    રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
    મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
    વાહ
    તેમની જ આ પંક્તીઓ યાદ આવી
    ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
    કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

    ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
    આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.
    હવે તો બુલંદ અવાજ પડઘાય તેવી વ્યવસ્થા થઈ શકે છે!

    જવાબ આપોકાઢી નાખો