બુધવાર, સપ્ટેમ્બર 17, 2008

ગઝલ - અદમ ટંકારવી

ગુજલીશ ગઝલો માટે જાણીતા ઈંગલેન્ડસ્થિત શ્રી અદમ ટંકારવીની એક ગઝલ -

ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે,
સ્વપ્ન ફળ્યાનો હવે શો અર્થ છે ?

ગા લ ગામાં એમનો સંદર્ભ છે,
આ ગઝલનો એટલો બસ મર્મ છે.

એને બરછટ શબ્દથી દુષિત ન કર,
લાગણી કેવી મુલાયમ નર્મ છે.

છે હવે મદહોશ એ સ્પર્શથી,
એ જ વાતે આ પવનને ગર્વ છે.

મારો પડછાયો મને પૂછ્યા કરે,
તેજ ને અંધારમાં શો ફર્ક છે?

ભીંત પર મોર ચીતરો તો ભલે,
ત્યાં ટહુકો ટાંગવાનું વ્યર્થ છે.

અન્યની તો વાત શી કરવી, અદમ
પંડની સાથે જ ક્યાં સંપર્ક છે?

1 ટિપ્પણી:

  1. અજ્ઞાત9/20/2008 12:23 PM

    સુંદર ગઝલ... બધા શેર ગમી જાય એવા થયા છે...

    જવાબ આપોકાઢી નાખો