મંગળવાર, જુલાઈ 15, 2008

સૂના ઘરમાં ખાલી ખાલી......

વાત કરવી છે આજે – સૂરતના શ્રી નયન દેસાઈની. તમે કહેશો કે નયન દેસાઈ એટલે – Experimental Ghazals. પણ ઘર ઉપરનું આ એમનું ગીત – શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં સાંભળો અને તમારા perception પર કડકડતી વિજળી ના પડે તો જ નવાઈ.

તમે કાયમ ઘર પ્રત્યે તમને કેટલી લાગણી છે – ધરતીનો છેડો એટલે ઘર – એવી બધી વાતો કરો. ત્યારે આ કવિ, તમે ઘરની બહાર નીકળો ત્યારે ઘરને શું-શું થતું હશે એની વાત માંડે છે....





સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે. - તમે જશો, ને ઉંબર ઉપર..


ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે. - તમે જશો, ને ઉંબર ઉપર..

(આ ગીત વર્ષોથી એટલું ગમે છે અને હૃદયસ્થ થઈ ગયું છે – કે જાતે જ ગણગણતા લખ્યું છે. જો તમને ગવાતા ગીત અને લખેલા ગીતમાં કોઈ ભૂલ મળે તો ધ્યાન દોરવા વિનંતી. અને બીજી એક આડવાત – જ્યાં સુધી શ્યામલભાઈ એ મારું ધ્યાન ના દોર્યું ત્યાં સુધી હું બીજો બંધ કંઈ આવી રીતે સાંભળતો હતો -

(ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,)

“ખડી ઝાંપલીમાં જૂવોને, પગદંડી, ખેતર, શેઢા,"

અને એમ સમજતો હતો કે તમે ઘરની-ગામની બહાર છો અને રોજ ખેતરે નથી જતા – તો રોજની પગદંડી, ખેતર, શેઢા તમારા વિરહમાં સામેથી ઝાંપલીમાં ડોકિયું કરવા આવી ગયા છે !!! - જાતે કવિતા આવડતી હોવાના (કે એવો ભ્રમ હોવાના) ગેરફાયદા?

1 ટિપ્પણી:

  1. અજ્ઞાત7/18/2008 9:00 AM

    vaah
    saras vaat
    તમે જશો,ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

    જવાબ આપોકાઢી નાખો