બુધવાર, જુલાઈ 16, 2008

બહાર આવ્યો છું...

આજે ફરી એક-વાર શ્રી મનોજ ખંડેરિયા. એમના સમગ્ર સંગ્રહમાંથી પસાર થતા એક મીઠી મૂંઝવણ અડક્યા કરે – કઈ ગઝલને બ્લોગ પર ના મૂકવી? અને અંતે પસંદગી – આ એક મુશાયરામાં એમના સ્વમુખે સાંભળેલી આ ગઝલ.

રદીફ બહુ જ સુંદર છે – બહાર આવ્યો છું. ક્યાંથી બહાર આવવાની વાત કરે છે કવિ? પોતાની પોતા વીશે ઉભી કરેલી છબીમાંથી! એ વસ્તુ કદાચ અગત્યની નથી કે નવી છબી પહેલા કરતા વધુ સુંદર બનશે કે ખરાબ – અગત્યતા છે એકની એક છબીમાં કેદ ના થવાની. બધા શેરો સુંદર, મને અંગત રીતે લાક્ષ્ય, રાસ અને કલમનો ત્રાસ ખૂબ ગમ્યા.

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

3 ટિપ્પણીઓ:

  1. હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
    અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.
    very nice words..!

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત7/17/2008 12:45 PM

    ખૂબ સુંદર ગઝલ. ઉત્તમોત્તમ કહી શકાય એવી...

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત7/18/2008 9:03 AM

    adbhut gazal
    darek sher saras...!!

    જવાબ આપોકાઢી નાખો