શનિવાર, ઑગસ્ટ 11, 2007

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં..

શિકાગોના તત્વજ્ઞાની કવિ શ્રી અશરફ ડબાવાલાની એક ખૂબ ગમતી ગઝલની આજે વાત કરીએ...

પહેલા શેરમાં વાત એવા પ્રસંગની છે જ્યારે બહુ જ આંસુ વહાવ્યા પછી પણ દિલનો ભાર હલકો ના થાય અને તમને કલમ પકડવાની ટેવ હોય તો ખડિયા ભરી ભરીને શાહી વપરાય એટલું લખાઈ જાય અને કદાચ.....દિલનો ભાર હળવો થાય..


ઘરમાં એવાં કો'ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.


હવે પછીનો અદભૂત શેર...અશરફભાઈએ પોતે આ શેર વીશે એમ વાત કરી હતી કે, તમે કોઈ માણસને પૂજ્ય માનતા હો અને એના વિશે બહુ ઊંચો અભિપ્રાય રાખતા હો, એ વ્યક્તિ ખરેખર તો સામાન્ય માણસ જેટલી પણ નથી એવી ખબર પડે ત્યારે તમારી લાગણીઓ પર ઊંડો આઘાત થાય છે અને આ વાત તમને દિવસો સુધી ખૂંચ્યા કરે છે. પછી જ્યારે આવો શેર બને ત્યારે તમારી દુભાયેલી લાગણીઓનો મોક્ષ થાય છે!!


ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં;
એક વેંત ઊતરોને ત્યાં તો તળિયા આવે.


આજના યુગના જાણીતા philosofers, self help and positive thinking book writers આ બધા એવું કહે કે નાસીપાસ ના થાવ, તમે જે મેળવવા માંગતા હો એને પામવા માટે મહેનત ચાલુ રાખો અને યાદ રાખો કે તમે જ્યારે સૌથી વધુ નાસીપાસ હશો અને એ દિશાની મહેનત મૂકી દેવા ગંભીરતાથી વિચારતા હશો અને તમને લાગશે કે, હવે એ દિશામાં આગળનો પ્રવાસ અંધકારમય છે ત્યારે જ જો તમે મહેનત હજુ ચાલુ રાખશો તો, અંધકારભર્યો લાગતો રસ્તો એવો વળાંક લેશે જ્યાં અજવાળારૂપી મંઝિલ હાથવગી જ હશે!! હવે...હવે આ જ વાતને romantic સંદર્ભમાં કેવી રીતે મૂકવી હોય એ જાણવું હોય તો અશરફ ડબાવાલાના આ શેર પાસે જવું પડે..


ડગલું એક ભરી શકવાના હોશ નથી, પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.


અને..ગઝલના શેરો લખવા માટે મહેનત કવિની હોય છે..આવડત અને માવજત કવિની હોય છે..પણ આ બધાના હોવાથી દરેક કવિની દરેક ગઝલ અદભૂત નથી બનતી..પણ જ્યારે કવિ પોતાને ઈશ્વરની વધારે નજીક અનુભવે છે એ વખતે લખાતો શેર ઘણી વખત સમયાતીત બની જાય છે..આ વાતને શાયર હવેના શેરમાં કેવી રીતે મૂકે છે એ જુઓ..એ કહે છે મારી બધી આવડત અને કળા અને શબ્દોનો ભંડોળ એ નરસિંહ મહેતાની હૂંડી જેવો છે, એમાં ભગવાન શામળિયા શેઠ બનીને યોગદાન આપે તો મારી ગઝલ ધન્ય બને...


શ્બ્દોની હુંડી લઈ ભાષા સામે ઊભો;
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

શનિવાર, ઑગસ્ટ 04, 2007

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે...

સૂરતના શ્રી ભગવતીકુમાર શર્મા જેમની માણસ વીશેની ગઝલ આપણે જૂની postમાં માણી હતી તેમની એક બીજી ગઝલ માણીએ..આ ગઝલને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે બહુ સરસ compose કરી છે..આજે પણ આ ગઝલ યાદ આવે તો હંસા દવેના ઘંટાયેલો અવાજ અને ઉદાસી શબ્દ ઉપરનો આલાપ એનો હિસ્સો અચૂક હોય છે...

શાયરે ઉદાસીની વાત કરી છે અને એ ઘણી બધી રીતની હોય..પણ કોઈ પ્રીય પાત્રની રાહ જોવાતી હોય અને આવવાનો નીર્ધારીત સમય વીતી ગયો હોય ત્યારે ઉત્કંઠા પછી ઉદાસી બની જાય છે..હવે માણસ છે એટલે પોતે ઉદાસ છે અને એ ઉદાસી ક્યારે ડુસકા બની ગઈ એ બધુ કહેતા ego આડે આવે.. એટેલે શાયરે સાંજને ઉદાસ બનાવી છે..કવિ અને કવિતાની આ જ ખૂબી છે.



ઉદાસી આ સૂરજની આંખે ચડી છે
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.


હવે ઉદાસ મન હોય અને એ અવસ્થામાં વિહવળ થઈને...વરંડામાં રાહ જોતી વ્યક્તિ સ્વાભવિક રીતે ઝરૂખામાં જાય ... પ્રતીક્ષામાં બેચેન મન આટલું તો કરાવે..પણ again માણસ છે..પોતે વિહવળ થ્ઈ પ્રતીક્ષામાં ઝરૂખે જાય એવું કોઈને ખબર પડી જાય તો કેવું લાગે..અને એટલે શાયર આ અદભૂત શેર આપે છે...


મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે


હવે પ્રતીક્ષા હોય, ઉદાસી હોય આ બધી હાલતમાં સારા ખરાબ વિચારોની સાથે વીજળીની માફક સાથે વિતાવેલી સારી પળ યાદ આવે..અને જો તમે ભગવતીકુમાર શર્મા જેવા સમર્થ શાયર હો તો આ શેર આવે..
સાથે આ શેર એ પણ બતાવે છે કે આ પ્રતીક્ષા સવારે ગયેલ માણસના પાછા આવવાની નહિ પણ ઘણા સમય પહેલા ચાલી ગયેલી વ્યક્તિ જે લગભગ પાછી નથી આવવાની એવું દિમાગ કહે છે પણ દિલ એની પ્રતીક્ષાને છેક ઝરૂખે લઈ જાય છે...પણ જવા દો આ બધી વાત અને દિલ ભરીને આ શેર માણો..


તમે નામ મારું લખ્યું'તું કદી જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે


અને છેલ્લો શેર...ઉપર કરેલી ઉદાસ યાદોની વાત એક જૂદી જ રીતે .


જરા ગણગણી લઉં તમારી સભામાં
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે