બુધવાર, જુલાઈ 30, 2008

જીવન-મરણ છે એક.....

કાલે ઘાયલ સાહેબની વાત નીકળી તો તરત પરંપરાના શાયરોમાં પણ અદબ પૂર્વક લેવાતું નામ તરત યાદ આવે...હા જી 'મરીઝ' સાહેબની જ વાત છે..એમની ગઝલ જેના નામ પરથી જગજીતજીએ એમના પહેલા ગુજરાતી આલ્બમનું નામ આપ્યું...પણ એ ગઝલ આશિત દેસાઈના સ્વરાંકનમાં અને હેમાબેનના અવાજમાં સાંભળવાની એક એની જ મજા છે....


તંતોતંત, વસંત અને અનંતના કાફિયા એમણે જે રીતે નિભાવ્યા છે એ વાંચો અને ઉમળકો આવી જાય તો એમને જ્યાં હોય ત્યાં પહોંચે એવી દિલપૂર્વકની દાદ આપો..



જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું - ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું 'મરીઝ'
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

1 ટિપ્પણી: