સોમવાર, જુલાઈ 28, 2008

પીંછામાંથી મોર...મુકેશ જોશી

ગયા અઠવાડિયે હિતેનભાઈ મારે ત્યાં હતા, ત્યારે મુકેશ જોશી, જે એમના બહુ નજીકના મિત્ર છે, એમની સ્વાભાવિકપણે જ વાત નીકળી. બહુ સરસ વાત કરી હિતેનભાઈએ, કે કોલેજ પૂરી કરી ત્યારથી બંને એકબીજાને ઓળખે અને બંનેએ કવિતા કરવાની શરુઆત ત્યારે જ કરી..ઘણા કવિઓએ કવિતા લખવાની શરુ કરી હોય ત્યારની રચનાઓ જુઓ તો શરુઆતની રચનાઓ થોડી નબળી લાગે..પણ મુકેશ જોશીએ શરુઆતથી જ એકસરખી સારી રચનાઓ જ આપી છે..આમ કહી એમણે જે કવિતા સંભળાવી એ તમારી સમક્ષ મુકું છું..કદાચ મુકેશભાઈ જોડે હોય અને હિતેન આનંદપરાની વાત નીકળે તો એ પણ આવી કોઈ હિતેનભાઈના શરુઆતના દિવસોની સુંદર રચના કહે જ!

બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં?
કાલ સુધી તું લાગણીઓને પીંછાં પીંછાં કહેતી
એ પીંછાંઓમાંથી મોર થયો કે નહીં?


આછેરો સુણીને પગરવ ધડકી ઊઠતા હૈયાની
તું વાત માનવા હોય ભલે ના રાજી
ઢળતા સૂરજ સાથે તારી આંખોના મધુવનમાં
જોને મહેક લઈને ઉગી ઊઠે વનરાજી
પડી ભાંગતી મિલન તણી જો આશ, હૃદયની ચારેપા ભીનાશ
સમય બપોર થયો કે નહીં....બોલ....


સ્મિત તણાં પારેવાં તું ઉડાવે એને
આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
અને કોઈ ગમતાંની સાથે સીવી લેતી હોઠ
શબદ તો જાણે બધ્ધા હોઠ અને તું નામ ઘૂંટે મન માંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે
એ છોને મનગમતો પણ ચોર થયો કે નહીં...બોલ...

2 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત7/29/2008 6:58 PM

    મસ્ત મજાનું ગીત. મુકેશ જોશીના ગીતો તરફનો મારો પક્ષપાત વધુ બળવત્તર બન્યો.

    જવાબ આપોકાઢી નાખો
  2. mukesh joshi mane aaj karansar game chhe emni ada j nokhi chhe..

    જવાબ આપોકાઢી નાખો