રવિવાર, નવેમ્બર 04, 2007

ઘેરાઈ ગયા ને?

શ્રી કૃષ્ણ દવે સંવેદનશીલ કવિ છે..આપણે વાંસલડી.કોમ અથવા આ સઘળા ફૂલોને કહી દો..ના ગીતોથી એમને ઓળખીએ છીએ..પણ અત્યારે ગઝલ પર એમનું ધમધોકાર અને એવું જ બળકટ કામ ચાલે છે..તાજેતરના ગુજરાતના વાતાવરણે એમની સંવેદનાને ઝંકૃત કરી અને કવિનું સંવેદન તો કવિતામાં જ પરિણમે ને? આ વખતે એ ગઝલ હતી..આવો માણીએ..(કૃષ્ણભાઈનો ખાસ આભાર..મારી વિનંતિને માન આપીને આ ગઝલ મોકલી આપવા અને આ બ્લોગ પર મૂકવાની અનુમતિ આપવા માટે..)


સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયાને?
કપડા પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયાને?

ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઉગેલા જુટ્ઠાણાઓથી ઘેરાઈ ગયાને?

જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેળાઈ ગયાને?

નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજુ થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયાને?

મૂળ વિના ઉગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મીલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયાને?

ઘણી વાર સમજાવ્યુ'તુંને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઉતર્યા તો વચ્ચેથી વે'રાઈ ગયાને?

કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને -
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયાને?

તમે નથીની સાબીતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયાને?


5 ટિપ્પણીઓ:

  1. મારા અતિ પ્રિય કવિની રચના માણવાનું કેમ ચૂકાય ? આભાર ગુંજનભાઇ.

    આમા કઇ પંક્તિની વાત કરવી તે જ સમજાતું નથી.બધી એકએકથી ચડિયાતી ..સુન્દર રચન માણવાની મજા મજા...!!
    તમે જ વાવેલા...
    કેટલુ ધારદાર સત્ય છે. આપણે આપણા જ જુઠ્ઠાણાઓથી ઘેરાતા હોઇએ છીએ ને ?

    કે પછી રજ ખંખેરે એમ ...અભિનન્દન

    નીલમ દોશી.

    http://paramujas.wordpress.com

    જવાબ આપોકાઢી નાખો
  2. મારા પણ બહુ જ પ્રીય કવી. તેમની રજુઆત હમ્મેશ સાવ નવી નક્કોર હોય છે.
    તેમનો બયો ડેટા અને ફોટો મેળવવા બહુ જ ઇચ્છા છે. તમે મેળવી આપો?

    જવાબ આપોકાઢી નાખો
  3. સુંદર ધારદાર ગઝલ પણ 'ગુજરાતના વાતાવરણે એમની સંવેદનાને ઝંકૃત કરી' એવું તો કેમ કહેવાય? સામાન્ય રીતે leadership લેનાર દરેક વ્યક્તિને વધતે ઓછે અંશે આ વાત લાગુ નથી પડતી? મૂળ વિના ઉગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?

    જવાબ આપોકાઢી નાખો
  4. વાહ મજા આવી ગઈ ગુંજનભાઈ... ખૂબ જ સુંદર ગઝલ! આભાર...

    www.urmisaagar.com

    જવાબ આપોકાઢી નાખો
  5. krishna Dave, is the trend setter in Gujarati poems......vanchta j khabar pade k aavu to Krishna Dave j lakhe..Thanks & regards

    જવાબ આપોકાઢી નાખો