લેબલ સૌમિલ-શ્યામલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સૌમિલ-શ્યામલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, ઑગસ્ટ 17, 2008

નિસ્બત છે અમારે ધરતીથી - સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરી - પરંપરાના શાયર. બહુ જ સુંદર સંચાલન પણ કરતા એમ પણ સાંભળ્યું છે. એમની એક નખશીખ સુંદર ગઝલને લઈ સૌમિલ-શ્યામલ મુનશીએ સંગીતના વાઘા પહેરાવીને એની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા છે.


નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

નોંધ : જયશ્રીએ એને શબ્દ સ્વરૂપે ટહૂકો પર અહીં મૂકી હતી.

શુક્રવાર, જુલાઈ 25, 2008

ચાલને ચાલ્યા જઈએ...તુષાર શુકલ

જે નથી આવતો એવો વરસાદ..કદાચ આ ગીત સાંભળીને આવી જાય એવી આશા સાથે...તુષાર શુક્લના શબ્દોથી શોભતું આ ગીત...સ્વર નિયોજન : શ્યામલ-સૌમિલ.



ભીંજીયે ભીંજાઈએ વ્હાલમા વરસાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં.

આવ પહેરાવું તને હું એક લીલુંછમ ગવન,
હું ઘટા ઘેઘૂર, ઓઢું આજ આષાઢી ગગન.
જાણીયે-ના જાણીયે કે આ અગન છે કે લગન,
તુંયે ઓગળ-હુંયે થોડું પીગળું ઉનમાદમાં.....ચાલને ચાલ્યા જઈએ.......

તેં કહ્યું’તું ભાગ્યમાં છે બસ તરસવાનું હજી,
મેં કહ્યું’તું ભાગ્યમાં એથી વરસવાનું વધું.
છે વરસવાનું વધું જો છે તરસવાનું વધું,
ના મજા મોસમની બગડે વ્યર્થના વિખવાદમાં..... ચાલને ચાલ્યા જઈએ.......

મંગળવાર, જુલાઈ 15, 2008

સૂના ઘરમાં ખાલી ખાલી......

વાત કરવી છે આજે – સૂરતના શ્રી નયન દેસાઈની. તમે કહેશો કે નયન દેસાઈ એટલે – Experimental Ghazals. પણ ઘર ઉપરનું આ એમનું ગીત – શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં સાંભળો અને તમારા perception પર કડકડતી વિજળી ના પડે તો જ નવાઈ.

તમે કાયમ ઘર પ્રત્યે તમને કેટલી લાગણી છે – ધરતીનો છેડો એટલે ઘર – એવી બધી વાતો કરો. ત્યારે આ કવિ, તમે ઘરની બહાર નીકળો ત્યારે ઘરને શું-શું થતું હશે એની વાત માંડે છે....





સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે. - તમે જશો, ને ઉંબર ઉપર..


ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે. - તમે જશો, ને ઉંબર ઉપર..

(આ ગીત વર્ષોથી એટલું ગમે છે અને હૃદયસ્થ થઈ ગયું છે – કે જાતે જ ગણગણતા લખ્યું છે. જો તમને ગવાતા ગીત અને લખેલા ગીતમાં કોઈ ભૂલ મળે તો ધ્યાન દોરવા વિનંતી. અને બીજી એક આડવાત – જ્યાં સુધી શ્યામલભાઈ એ મારું ધ્યાન ના દોર્યું ત્યાં સુધી હું બીજો બંધ કંઈ આવી રીતે સાંભળતો હતો -

(ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,)

“ખડી ઝાંપલીમાં જૂવોને, પગદંડી, ખેતર, શેઢા,"

અને એમ સમજતો હતો કે તમે ઘરની-ગામની બહાર છો અને રોજ ખેતરે નથી જતા – તો રોજની પગદંડી, ખેતર, શેઢા તમારા વિરહમાં સામેથી ઝાંપલીમાં ડોકિયું કરવા આવી ગયા છે !!! - જાતે કવિતા આવડતી હોવાના (કે એવો ભ્રમ હોવાના) ગેરફાયદા?