લેબલ જવાહર બક્ષી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ જવાહર બક્ષી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, જૂન 24, 2010

જતી વેળા - જવાહર બક્ષી

જવાહર બક્ષી સાહેબની એક ગઝલ - એમના સંગ્રહ 'તારાપણાના શહેરમાં'માંથી,

જતી વેળા

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે
તો આવ હોઠ સુધી ... શબ્દ થઈ ઊડી જાજે

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે

મંગળવાર, સપ્ટેમ્બર 30, 2008

સાચુકલો અવાજ - જવાહર બક્ષી

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે.... સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ તે ઘર,
એવુ તે શું કે આખું જીવન જાય દ્વારમાં.

શ્રદ્ધા તો ઠીક કોઇ અશ્રદ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં.

મંગળવાર, સપ્ટેમ્બર 09, 2008

ગઝલ - જવાહર બક્ષી

આજે શ્રી જવાહર બક્ષીની ગઝલ - એમને 'તું'ની બહુ તીવ્ર તલાશ છે.અને એ પણ વાતાવરણમાં મેઘધનુરૂપે કે પરપોટાની હવારૂપે કે ચૂપકીદીરૂપે નહિ એમને તો સામે જોવે એવા 'તું'ની તલાશ છે પછી ભલેને હવામાં રંગના ધાબાં પડે! એ તો એ પણ ભૂલી જશે કે એ શું વાત કરી રહ્યા છે....

વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે

પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધુરપના ફીણ છે

તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે

તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે

હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો'તો તને યાદ છે ? કહે

સોમવાર, ઑગસ્ટ 18, 2008

ઝેન ગઝલ - જવાહર બક્ષી

આજે શ્રી જવાહર બક્ષીની એક વિશિષ્ટ ગઝલ - એમાં શું નવતર છે, એ કહેશો જરા?


બેઠો'તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે


ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે


મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
'સૂરજ નથી' ના શ્વાસમાં મૂંગો મરાઉં રે


'સૂરજ નથી' ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે


તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે


આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો'તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે

બેઠો'તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં...હું સંભળાઉં રે

ગુરુવાર, જુલાઈ 31, 2008

ઉપેક્ષામાં નહિ તો... જવાહર બક્ષી

ગુજરાતી કવિતામાં રસ પડવા લાગ્યો - 1990ની આસપાસ...અને તે પણ ગુજરાતી સુગમ સંગીતના માધ્યમથી...અને એ વખતે જે વારંવાર સાંભળવી ગમતી એવી એક ગઝલ... એ વખતે એવી ખબર નહોતી પડતી કે લાંબી બહેરની ગઝલ છે...શ્રી જવાહર બક્ષીની આ ગઝલ છે..કે જવાહર બક્ષીએ 'ફના' ઉપનામથી ગઝલો કરી છે..વગેરે વગેરે..પણ તો ય આ ગઝલ બસ ગમતી હતી...


ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એ કે એની રજાનો અનુભવ

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ

કદાચિત તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતિ તો થઈ'તી
મને જે ક્ષણે થઈ ગયો'તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી'તી
ફક્ત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો
તરત એ બીચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ

મને થોડી અગવડ પડી રહી'તી એથી 'ફના' ઘર બદલતા મેં બદલી તો નાખ્યું
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ

રવિવાર, સપ્ટેમ્બર 16, 2007

તારાપણાના શહેરમાં...

આજે વાત કરવી છે, મુંબઈના કવિ શ્રી જવાહર બક્ષીની...હમણાં જ ક્રોસવર્ડમાંથી એમનો ગઝલ સંગ્રહ - તારાપણાના શહેરમાં ખરીદવાનું સદભાગ્ય મળ્યું..

આ કવિએ પ્રસ્તાવનામાં અદભૂત વાત લખી છે...એમણે પહેલી ગઝલ લખી 1959માં અને પોતે પોતાની પહેલી ગઝલ માન્ય્ રાખી 1967માં!! અને પહેલો ગઝલ સંગ્રહ આપે છે પહેલી ગઝલ લખ્યાના ચાલીસ વર્ષ પછી અને પહેલી માન્ય કરેલી ગઝલના બત્રીસ વર્ષ પછી ..

એ કહે છે એમણે શબ્દની આરાધના કરી છે અને એના અનેક સ્વરૂપનુ પાન કર્યુ છે અને પછી ગઝલ લખી છે..વળી લખ્યા પછી કોઈ પણને આપ્યા પહેલા - પોતે એના પ્રથમ ભાવક બન્યા અને વિવેચક બન્યા અને એ પણ એક ખૂબ કડક વિવેચક..એમની પ્રસ્તાવના પૂરી કરતા એ કહે છે કે એમણે લખેલી સાડાઆઠસો ગઝલોમાંથી એમને પોતાને ના ગમેલી સાતસો જેટલી ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી દીધી છે, બાકીમાંથી આ રહી 108 ગઝલો...

જે પોતાની ગઝલના દરેક શબ્દ માટે આટલા સજાગ હોય, જેમની કવિ તરીકેની એટલી સજ્જતા હોય કે પોતે લખેલી 8-9 ગઝલમાંથી 1-2 ગઝલ વિવેચક તરીકે (પોતે પોતાને શ્રોતા જ માને છે) માન્ય રાખે, એમની ગઝલ વીશે કાંઈ પણ લખવાની ગુસ્તાખી કર્યા વગર એમની મને બહુ જ ગમતી ગઝલો - જેમની તેમ તમારી સમક્ષ....


હવે પછીની ગઝલ - જેના માટે પોતાની તેજાબી જબાન અને કલમ માટે જાણીતા શ્રી ચંદ્રકાંત બક્ષીએ એમ કહ્યું હતું કે મહદ અંશે ગુજરાતી કવિતા કુવામાંના દેડકા જેવી છે (એમના ઘણા બધા વિવાદાસ્પદ વિધાનોમાં આનો સમાવેશ કરી શકાય, પણ અત્યારે વાત એની નથી..આટલા કડક વિવેચકને પણ સ્પર્શી ગયેલી રચનાની વાત છે) , વિશ્વ કક્ષાની કવિતાની હરોળમાં ઊભી રહે એવી કવિતાનો એક દાખલો જોવો હોય તો એ આ છે...

આજના માણસની ગઝલ

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી

સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી


એક બીજી ગઝલ - વિરાજ અને બીજલ ઉપાધ્યાયે ખૂબ સુંદર રીતે ગાઈ છે, પુરુષોતમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ દ્વારા પ્રસ્તુત "તારા શહેરમાં"


વિરહોત્કંઠિતા ગઝલ...

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટોઅ પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય