લેબલ આદિલ મન્સૂરી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ આદિલ મન્સૂરી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, નવેમ્બર 07, 2008

શ્રધ્ધાંજલી - આદિલ મન્સૂરી

આદિલ સાહેબની હમણાં અમદાવાદ મુલાકાત વખતે એમની સાથે કરેલું ડિનર અને પછી એમને મૂકવા ઢાલગરવાડના ઢાળે પણ ગયો હતો એ વીજળીના ઝબકારાની જેમ યાદ આવી ગયું જ્યારે એમના જવાના સમાચાર મળ્યા...પણ ઢાલગરવાડ એમને અમેરિકામાં કેટલું તીવ્રતાથી યાદ આવતું એ જુઓ.


કાંકરિયાની પાળે બેઠા
યાદોના અજવાળે બેઠા

આંખ જરા મીંચાઈ ત્યાં તો
ઢાલગરવાડના ઢાળે બેઠા

આખ્ખી દુનિયાને દોડાવે
કાંટાઓ ઘડિયાળે બેઠા

કાચા પાઠો પાકા કરવા
આદિલ ગઝલનિશાળે બેઠા


એમના આ બે શેર જુઓ-

તું બેઠો બેઠો જન્મનાં વરસો ગણ્યા કરે
ને મૃત્યુ તારા નામની ચાદર વણ્યા કરે

સામા મળે તો 'કેમ છો' ય પૂછતા નથી
એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યા કરે


એમની એક પ્રમાણમાં નવી-સવી ગઝલના (૨૦૦૬ની) છેલ્લા શેરથી એમને અંજલિ આપીએ-

અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ
માણસ થવાનો આપ અભિનય કરી જુઓ

પ્રતિબિંબ આંખ ચોળતાં જાગી પડે કદાચ
દર્પણના અંધકારને દીવો ધરી જુઓ

એ તો પ્રચંડ ધોધ થઈને પડ્યા કરે
ને ધોધ વચ્ચે આપનું માથું ધરી જુઓ

મુઠ્ઠીમાં ક્યાં સુધી તમે સંતાડી રાખશો
આદિલ આ છેલ્લો સિક્કો હવે વાપરી જુઓ

શુક્રવાર, જાન્યુઆરી 05, 2007

મળે ના મળે....

વતન કાયમ માટે છોડવાનું આવે તો મારી-તમારા જેવા સામાન્ય જનોની વિચારવાની શક્તિ, જવાના દુ:ખમાંને દુ:ખમાં ઓછી થઈ જાય, પણ જો આપણી જગ્યાએ શ્રી આદિલ મનસૂરી હોય તો જવાની વેદના ગઝલરૂપે આવે, કંઈક આવી રીતે...

શ્હેર છોડવાનું હોય અમદાવાદ...એને શ્રેષ્ઠ કાવ્યાત્મક રીતે વર્ણવવું હોય તો અમદાવાદ એટલે સાબરમતી નદીની રેતમાં રમતું નગર જેવી ઉપમા આપવા માટે આદિલ મનસૂરી થવું પડે! ગઝલનો પહલો શેર..મત્લા જુઓ..

નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
ફરી આ દૅશ્ય સ્મ્રૂતિપટ ઉપર મળે ના મળે


વતનની માટીની પણ એક સુંગધ હોય છે અને વતન છોડ્યા પછી ભલે રાજ-પાટ મળે પણ એ માટીની સુગંધ ક્યાં મળે છે! તો એ સુગંધનો દરિયો શ્વાસમાં ભરીને લઈ જઈએ તો...જુઓ આ બીજો શેર...

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ના મળે


હવે પછીના બે શેર સરળ પણ અર્થપૂર્ણ છે..

પરિચિતોને ધરાઈને જોઇ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ના મળે


ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ના મળે


મને સૌથી વધુ ગમતો શેર..જાને ગઝલ શેર!! કોઇના મ્રૂત્યુ પછીનું રડવાનું અત્યારે જ પતાવો..એ સ્વજનના કે તમારા મ્રૂત્યુ પ્રસંગે પછી રડવાની તક ના પણ મળે...

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં
પછી કોઈને કોઇની કબર મળે ના મળે


વતન છોડીને સફરે નીકળો, તો પછી સારો સથવારો ના પણ મળે..તો...

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળે ના મળે


અને મક્તાનો શેર..

વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે


no doubt..કે ગુજરાતી સાહિત્યની શીરમોર રચનાઓમાં આ ગઝલ સ્થાન પામી છે...