શુક્રવાર, સપ્ટેમ્બર 26, 2008

વિકલ્પ નથી - મનોજ ખંડેરિયા

આ લો શ્રી મનોજ ખંડેરિયાની એક સાદ્યંત સુંદર ગઝલ. મત્લામાં કહે છે સત્યનો પણ સૂર્યની જેમ કોઇ વિકલ્પ નથી. વળી બીજા એક શેરમાં કહે છે...આપણા શરીર અને આત્મા વચ્ચેનું યુધ્ધ આજે નહિં તો કાલે, આ નહીં તો આવતા જન્મે, થવાનું તો છે જ.



બધાનો હોઇ શકે સત્યનો વિકલ્પ નથી,
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પતાળે શાખ બધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી.

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચલે ગઝલની રગરગમાં.
જરુરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

1 ટિપ્પણી:

  1. અજ્ઞાત9/27/2008 5:57 PM

    અદભુત રદીફ ઉપર ઉત્તમોત્તમ કારીગરી... વાહ! વાહ!! વાહ!!!

    જવાબ આપોકાઢી નાખો