રવિવાર, ઑક્ટોબર 28, 2007

જાણી બુઝીને અમે અળગા

શ્રી હરિન્દ્ર દવેનું આ બહુ જ જાણીતુ ગીત “જાણી બુઝીને અમે અળગા ચાલ્યા”– ટહુકો.કોમ પર 30મી જૂને મૂકાયું હતું...ફરી મુકવાનું કારણ?? કારણ.. મારા બ્લોગનો એક નવો પડાવ..એ શું? મારી પાસે ઓડિયો કેસેટના સ્વરૂપે ઘણા ગીતો પડ્યા હતા..જયશ્રીએ ભારતની મુલાકાત વખતે ખાસ્સું પ્રોત્સાહન આપ્યું એને digitize કરવાનું અને એનું પરિણામ તમારી સામે છે..વેલ..વેલ વેલ..પરેશ ભટ્ટના પોતાના અવાજમાં એમનું આ composition!!!!!... વચ્ચે એમણે આ ગીતને ખૂબ સુંદર રીતે સમજાવ્યું પણ છે...બહુજ જૂની કેસેટ જેની quality જ બહુ સરસ નથી (જયારથી મારી પાસે આવી 1992-93માં ત્યારથી જ), તો એનું mp3 ફોર્મેટ ખૂબ સુંદર ના જ હોય..પણ સાંભળતી વખતે ફક્ત એની historic value ધ્યાનમાં રાખવા વિનંતિ..તો હવે તમારી અને પરેશ ભટ્ટની વચ્ચે વધુ આવ્યા વિના, લો આ પ્રસ્તુત છે....





જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?


આ ગીત માટે આભાર..
ટહુકો.કોમ

શનિવાર, ઑક્ટોબર 20, 2007

લાગણી તો જડભરત છે

એક તાજી oven-fresh ગઝલ, ટૂંકી બહેરની...


શ્વાસ સાથેની લડત છે
જીવ માટેની મમત છે

તેં મને આપેલ વર્ષો
એક-બે સારા પરત છે

તૂં કહે નાજૂક નમણી
લાગણી તો જડભરત છે

એક, બે, ત્રણ..ના ગણ્યા કર
ક્યારની ચાલુ રમત છે

ઘર કદી પૂછે નહી કે
આવવાનો આ વખત છે?

સહેજ પણ આરામ ક્યાં છે,
અબઘડી, હમણાં, તરત છે

તરફડીને શાંત થઈ ગઈ
માછલીને જળ શરત છે


---લખ્યા તારીખ : 20 ઓક્ટોબર, 2007

મંગળવાર, ઑક્ટોબર 16, 2007

એ લખું છું...

8મી સપ્ટેમ્બરથી લખાતી એક ગઝલ..જેને બનતા 3 અઠવાડિયા થયા અને આખરી ઓપ અપાયો ગઈ કાલે રાતે 2-30 વાગે...એટલેકે એક તાજી ગઝલ પેશ કરું છું..



દર્દને સંકોરવાથી શું મળ્યું છે, એ લખું છું
એકલું રાખી મૂક્યું મન, શું ફળ્યું છે, એ લખું છું

આપણા હોવાપણાની શક્યતાની સાવ વચ્ચે,
કોઈ આવીને અહીં ટોળે વળ્યું છે, એ લખું છું

રાતને સુંદર કર્યાની ચંદ્ર credit લઈ ગયો,
તેજ સૂરજનું હકીકતમાં બળ્યું છે, એ લખું છું

ભીંત પર જે પણ લખ્યું વાંચી ગયા એ તો બરાબર
ભીંતની અંદર પછી કોઈ ચળ્યું છે? એ લખું છું

એક ટીપાનું કુતૂહલ કેટલું જંગી હતું કે
જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે, એ લખું છું


શુક્રવાર, ઑક્ટોબર 12, 2007

એક બીજાની ઉપર આધાર છે..

આજે મારી એક ગઝલ..થોડા મહિના પહેલા લખાયેલી..શની સભામાં ચીનુ મોદી, કૃષ્ણ દવે, હરદ્વાર ગોસ્વામી અને બીજા મીત્રો દ્વારા વખાણાયેલી અને કૃષ્ણ દવેનો આભાર કે જેમના આમંત્રણથી શ્રી મોરારી બાપુને એક અંગત બેઠક, જે ખાસ મોરારી બાપુ અમદાવાદમાં હતા ત્યારે એમને કવિતા સાંભળવાની ઈચ્છા થયેલી અને કૃષ્ણ દવેએ બેઠકનું આયોજન કર્યું હતું તેમાં બાપુને સંભળાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું એ ગઝલ રજૂ કરું છું...


એક બીજાની ઉપર આધાર છે
એ અમારી વારતાનો સાર છે

દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
આટલામાં એમના ઘરબાર છે

સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે

રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
કેટલો આ બાંકડો લાચાર છે

હું જ બાંધી ના શક્યો સામાનમાં
બેગમાં ઘર આવવા તૈયાર છે



તાજા કલમ - વર્ષો જુનું મારું એક સ્વપ્ન - મારી લખેલી ગઝલને હું compose કરું અને મારા ઘરના ખૂણામાં બેસીને પણ જાતે એને ગાઉં..આ સ્વપ્ન આ ગઝલથી પૂરું થયું..એક વર્ષથી શાસ્ત્રીય સંગીત શીખવાનું ચાલુ કર્યુ છે ..આ ગઝલને મેં રાગ બાગેશ્રીમાં compose કરવાનો પ્રયત્ન કર્યો છે...

રવિવાર, સપ્ટેમ્બર 16, 2007

તારાપણાના શહેરમાં...

આજે વાત કરવી છે, મુંબઈના કવિ શ્રી જવાહર બક્ષીની...હમણાં જ ક્રોસવર્ડમાંથી એમનો ગઝલ સંગ્રહ - તારાપણાના શહેરમાં ખરીદવાનું સદભાગ્ય મળ્યું..

આ કવિએ પ્રસ્તાવનામાં અદભૂત વાત લખી છે...એમણે પહેલી ગઝલ લખી 1959માં અને પોતે પોતાની પહેલી ગઝલ માન્ય્ રાખી 1967માં!! અને પહેલો ગઝલ સંગ્રહ આપે છે પહેલી ગઝલ લખ્યાના ચાલીસ વર્ષ પછી અને પહેલી માન્ય કરેલી ગઝલના બત્રીસ વર્ષ પછી ..

એ કહે છે એમણે શબ્દની આરાધના કરી છે અને એના અનેક સ્વરૂપનુ પાન કર્યુ છે અને પછી ગઝલ લખી છે..વળી લખ્યા પછી કોઈ પણને આપ્યા પહેલા - પોતે એના પ્રથમ ભાવક બન્યા અને વિવેચક બન્યા અને એ પણ એક ખૂબ કડક વિવેચક..એમની પ્રસ્તાવના પૂરી કરતા એ કહે છે કે એમણે લખેલી સાડાઆઠસો ગઝલોમાંથી એમને પોતાને ના ગમેલી સાતસો જેટલી ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી દીધી છે, બાકીમાંથી આ રહી 108 ગઝલો...

જે પોતાની ગઝલના દરેક શબ્દ માટે આટલા સજાગ હોય, જેમની કવિ તરીકેની એટલી સજ્જતા હોય કે પોતે લખેલી 8-9 ગઝલમાંથી 1-2 ગઝલ વિવેચક તરીકે (પોતે પોતાને શ્રોતા જ માને છે) માન્ય રાખે, એમની ગઝલ વીશે કાંઈ પણ લખવાની ગુસ્તાખી કર્યા વગર એમની મને બહુ જ ગમતી ગઝલો - જેમની તેમ તમારી સમક્ષ....


હવે પછીની ગઝલ - જેના માટે પોતાની તેજાબી જબાન અને કલમ માટે જાણીતા શ્રી ચંદ્રકાંત બક્ષીએ એમ કહ્યું હતું કે મહદ અંશે ગુજરાતી કવિતા કુવામાંના દેડકા જેવી છે (એમના ઘણા બધા વિવાદાસ્પદ વિધાનોમાં આનો સમાવેશ કરી શકાય, પણ અત્યારે વાત એની નથી..આટલા કડક વિવેચકને પણ સ્પર્શી ગયેલી રચનાની વાત છે) , વિશ્વ કક્ષાની કવિતાની હરોળમાં ઊભી રહે એવી કવિતાનો એક દાખલો જોવો હોય તો એ આ છે...

આજના માણસની ગઝલ

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી

સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી


એક બીજી ગઝલ - વિરાજ અને બીજલ ઉપાધ્યાયે ખૂબ સુંદર રીતે ગાઈ છે, પુરુષોતમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ દ્વારા પ્રસ્તુત "તારા શહેરમાં"


વિરહોત્કંઠિતા ગઝલ...

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટોઅ પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

શુક્રવાર, સપ્ટેમ્બર 07, 2007

જૂની પૂરાણી વારતા

આજે એક મારી જૂની પૂરાણી ગઝલ જેનું મે વર્ષો પહેલા - 2003માં - શિકાગોમાં શ્રી સુરેશ દલાલ સંચાલિત મુશાયરામાં પઠન કર્યું હતું


આપણો સંબંધ શું? જૂની પૂરાણી વારતા,
લાગણીનું નામ શું? જૂની પૂરાણી વારતા

આભ આખું પામવામાં સહેજ છેટૂં રહી ગયું,
તારું ન હોવું વાગતું, જૂની પૂરાણી વારતા

એક આખી શક્યતાને સાવ ઓળંગી ગયો,
એનું પછીથી આવવું, જૂની પૂરાણી વારતા

આ નગર વચ્ચે નગર છે એક તારી યાદનું,
એમાં જવું ને આવવું, જૂની પૂરાણી વારતા

શનિવાર, ઑગસ્ટ 11, 2007

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં..

શિકાગોના તત્વજ્ઞાની કવિ શ્રી અશરફ ડબાવાલાની એક ખૂબ ગમતી ગઝલની આજે વાત કરીએ...

પહેલા શેરમાં વાત એવા પ્રસંગની છે જ્યારે બહુ જ આંસુ વહાવ્યા પછી પણ દિલનો ભાર હલકો ના થાય અને તમને કલમ પકડવાની ટેવ હોય તો ખડિયા ભરી ભરીને શાહી વપરાય એટલું લખાઈ જાય અને કદાચ.....દિલનો ભાર હળવો થાય..


ઘરમાં એવાં કો'ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.


હવે પછીનો અદભૂત શેર...અશરફભાઈએ પોતે આ શેર વીશે એમ વાત કરી હતી કે, તમે કોઈ માણસને પૂજ્ય માનતા હો અને એના વિશે બહુ ઊંચો અભિપ્રાય રાખતા હો, એ વ્યક્તિ ખરેખર તો સામાન્ય માણસ જેટલી પણ નથી એવી ખબર પડે ત્યારે તમારી લાગણીઓ પર ઊંડો આઘાત થાય છે અને આ વાત તમને દિવસો સુધી ખૂંચ્યા કરે છે. પછી જ્યારે આવો શેર બને ત્યારે તમારી દુભાયેલી લાગણીઓનો મોક્ષ થાય છે!!


ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં;
એક વેંત ઊતરોને ત્યાં તો તળિયા આવે.


આજના યુગના જાણીતા philosofers, self help and positive thinking book writers આ બધા એવું કહે કે નાસીપાસ ના થાવ, તમે જે મેળવવા માંગતા હો એને પામવા માટે મહેનત ચાલુ રાખો અને યાદ રાખો કે તમે જ્યારે સૌથી વધુ નાસીપાસ હશો અને એ દિશાની મહેનત મૂકી દેવા ગંભીરતાથી વિચારતા હશો અને તમને લાગશે કે, હવે એ દિશામાં આગળનો પ્રવાસ અંધકારમય છે ત્યારે જ જો તમે મહેનત હજુ ચાલુ રાખશો તો, અંધકારભર્યો લાગતો રસ્તો એવો વળાંક લેશે જ્યાં અજવાળારૂપી મંઝિલ હાથવગી જ હશે!! હવે...હવે આ જ વાતને romantic સંદર્ભમાં કેવી રીતે મૂકવી હોય એ જાણવું હોય તો અશરફ ડબાવાલાના આ શેર પાસે જવું પડે..


ડગલું એક ભરી શકવાના હોશ નથી, પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.


અને..ગઝલના શેરો લખવા માટે મહેનત કવિની હોય છે..આવડત અને માવજત કવિની હોય છે..પણ આ બધાના હોવાથી દરેક કવિની દરેક ગઝલ અદભૂત નથી બનતી..પણ જ્યારે કવિ પોતાને ઈશ્વરની વધારે નજીક અનુભવે છે એ વખતે લખાતો શેર ઘણી વખત સમયાતીત બની જાય છે..આ વાતને શાયર હવેના શેરમાં કેવી રીતે મૂકે છે એ જુઓ..એ કહે છે મારી બધી આવડત અને કળા અને શબ્દોનો ભંડોળ એ નરસિંહ મહેતાની હૂંડી જેવો છે, એમાં ભગવાન શામળિયા શેઠ બનીને યોગદાન આપે તો મારી ગઝલ ધન્ય બને...


શ્બ્દોની હુંડી લઈ ભાષા સામે ઊભો;
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

શનિવાર, ઑગસ્ટ 04, 2007

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે...

સૂરતના શ્રી ભગવતીકુમાર શર્મા જેમની માણસ વીશેની ગઝલ આપણે જૂની postમાં માણી હતી તેમની એક બીજી ગઝલ માણીએ..આ ગઝલને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે બહુ સરસ compose કરી છે..આજે પણ આ ગઝલ યાદ આવે તો હંસા દવેના ઘંટાયેલો અવાજ અને ઉદાસી શબ્દ ઉપરનો આલાપ એનો હિસ્સો અચૂક હોય છે...

શાયરે ઉદાસીની વાત કરી છે અને એ ઘણી બધી રીતની હોય..પણ કોઈ પ્રીય પાત્રની રાહ જોવાતી હોય અને આવવાનો નીર્ધારીત સમય વીતી ગયો હોય ત્યારે ઉત્કંઠા પછી ઉદાસી બની જાય છે..હવે માણસ છે એટલે પોતે ઉદાસ છે અને એ ઉદાસી ક્યારે ડુસકા બની ગઈ એ બધુ કહેતા ego આડે આવે.. એટેલે શાયરે સાંજને ઉદાસ બનાવી છે..કવિ અને કવિતાની આ જ ખૂબી છે.



ઉદાસી આ સૂરજની આંખે ચડી છે
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.


હવે ઉદાસ મન હોય અને એ અવસ્થામાં વિહવળ થઈને...વરંડામાં રાહ જોતી વ્યક્તિ સ્વાભવિક રીતે ઝરૂખામાં જાય ... પ્રતીક્ષામાં બેચેન મન આટલું તો કરાવે..પણ again માણસ છે..પોતે વિહવળ થ્ઈ પ્રતીક્ષામાં ઝરૂખે જાય એવું કોઈને ખબર પડી જાય તો કેવું લાગે..અને એટલે શાયર આ અદભૂત શેર આપે છે...


મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે


હવે પ્રતીક્ષા હોય, ઉદાસી હોય આ બધી હાલતમાં સારા ખરાબ વિચારોની સાથે વીજળીની માફક સાથે વિતાવેલી સારી પળ યાદ આવે..અને જો તમે ભગવતીકુમાર શર્મા જેવા સમર્થ શાયર હો તો આ શેર આવે..
સાથે આ શેર એ પણ બતાવે છે કે આ પ્રતીક્ષા સવારે ગયેલ માણસના પાછા આવવાની નહિ પણ ઘણા સમય પહેલા ચાલી ગયેલી વ્યક્તિ જે લગભગ પાછી નથી આવવાની એવું દિમાગ કહે છે પણ દિલ એની પ્રતીક્ષાને છેક ઝરૂખે લઈ જાય છે...પણ જવા દો આ બધી વાત અને દિલ ભરીને આ શેર માણો..


તમે નામ મારું લખ્યું'તું કદી જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે


અને છેલ્લો શેર...ઉપર કરેલી ઉદાસ યાદોની વાત એક જૂદી જ રીતે .


જરા ગણગણી લઉં તમારી સભામાં
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે

શનિવાર, જુલાઈ 28, 2007

શક્યતા...

આજે મારી એક રચના..જે મારા નજીકના મીત્ર વર્તુળમાં ઘણી appreciate થઈ છે..એ બધા મીત્રોને નામ, 1996માં MBAના project work માટે હું દિલ્હી ગયો હતો ત્યારે રચાયેલી આ રચના..


શક્યતા ફળદ્રુપ વસ્તુ હોય છે, તારી તો ખાસ
લાગણી ભયજનક વસ્તુ હોય છે, મારી તો ખાસ

તારા વિચારો છે હાજરી ક્યાં તારી, તૂં હોય બધે લાગે છે તોય મને કોણ જાણે એવું
આવવાને દીધૂં છે ‘આગમન’નું નામ, ને ‘જવું’ નો શબ્દજ શબ્દકોષોમાં હોય ના તો કેવું?

યાદ કમોસમી વસ્તુ હોય છે, તારી તો ખાસ
ભીનાશ કાયમી વસ્તુ હોય છે, મારી તો ખાસ.

પ્રેમ આપણો સાવ છીછરો જ નો’તો, ને માપવાને એને ગજ પણ મળ્યા’તા ક્યાં
હતું મૂલ્ય મારું છો ઘણાય શૂન્યોમાં, હતી શોધ એક્ડાની, આવી મળ્યા તમે ત્યાં.

ઉપેક્ષા ધારદાર વસ્તુ હોય છે, તારી તો ખાસ
અપેક્ષા ધોધમાર વસ્તુ હોય છે, મારી તો ખાસ.

રવિવાર, જુલાઈ 22, 2007

આ માણસ બરાબર નથી...

શ્રી હિતેન આનંદપરાની એક ગઝલ પેશ કરું છું,

માણસની વાત છે...એવો માણસ જે હિસાબમાં બહુ ચીવટ રાખે છે..તમને થશે એ તો ઠીક છે, આવા તો ઘણા માણસો હોય છે..પણ આ જે માણસ છે એ પૈસાની સાથે સાથે સંબંધોમાં હિસાબ રાખે છે અને જો ક્યાંક ઓછું આવે તો દિલ ખોલીને ઝઘડી પણ લે છે કે છેલ્લે મળ્યા ત્યારે ફલાણા દોસ્ત સાથે 7.5 મિનિટ વાત કરી અને મારી સાથે ફક્ત 7.25 મિનિટ!!..આ તો થોડું વધારીને કહું છું, પણ દિલ પર હાથ મૂકીને કહેજો કે મેં કે તમે ક્યારેક તો આવું વર્તન કર્યું જ છે, એટલે કવિએ કુશળતાપૂર્વક એક માણસના નામે મારી તમારી જ વાત કરી છે...

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી,
ગણે છે ને ઓછી પડે તો લડે છે,આ માણસ બરાબર નથી.


આપણે કેટલા materialistic થઈ ગયા છીએ એની વાત જુઓ...

સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદર વસ્તુઓ જોવી ગમે સ્વાભવિક છે, પણ એ જોનારાની નજરમાં વિકૃતિ આવે ત્યારે,

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દૅષ્ટિમાં છે ફેર,
એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

self centred માણસોની દરેક વાત એમના પોતાનાથી શરૂ થઈને એમની જ ઉપર પૂરી થાય,

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથીયે છેટો રહે છે,
બસ પોતાના માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

આવા માણસ પોતે ગમે તેટલા સુખી હોય પણ કોઇનું થોડું પણ સુખ એમનાથી સહન નથી થતુ...

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.

પણ મોં ઉપર તો કાયમ હસી ને જ વાત કરશે,


જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

ગુરુવાર, જૂન 07, 2007

તો કહું!

અર્થોપાર્જન માટેની પ્રવ્રુત્તિ - in my case Project on which I am working right now - મને ઘણો busy રાખે છે એટલે આ postમાં delay થઈ..તે માટે sorry કહીને...આગળ વાત કરીએ તો...

આજે વાત કરવી છે ..અમદાવાદમાં મારા ઘરની નજીક રહેતા...હમણાં જ જેમને ગુજરાતી સાહિત્યના શિરમોર સમો રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો..અને જેમણે પોતાનુ મોટા ભાગનું સાહિત્ય સર્જન ગઝલ કાવ્ય પ્રકારમાં કર્યુ છે ...અને ગઝલ સર્જનમાં તત્વજ્ઞાનની એક નવી દિશા ઉઘાડી આપી છે..અને જ્યારે તમારી સામે ગઝલ પઠન કરતા હોય ત્યારે એવુ મહેસુસ થાય કે પુરાણ કાળના કોઈ ઋષિ તમારી સામે વેદ ઋચાઓ વાંચી રહ્યા છે...એ શ્રી રાજેન્દ્ર શુક્લની..

એમની આ બહુજ જાણીતી ગઝલના મત્લા - પ્રથમ શેરમાં એ વાત કરે communicationની....MBA કરતા હો તો આ વિષય પર તમારે જાડા થોથાઓનો અભ્યાસ કરવો પડે પણ આ આખા વિષયને એ એના મૂળથી પારખીને તમારી સામે શેરની બે પંક્તિમાં મૂકી આપે છે..તમે જ્યારે કોઈને કંઈ વાત કહેવા માંગો ત્યારે મગજમાં ઘણા વિચારો, વાતો ઘુમરાતી હોય છે..એમાંથી જીભ ઉપર અમુક શબ્દો જ આવે છે.. આ જે ગણત્રીન શબ્દો જીભ ઉપર આવ્યા અને સામેની વ્યક્તિને સંભળાવ્યા..એ એટલે communication..હવે વિચારો બહુ સારા હોય પણ જો વ્યવસ્થિત શબ્દોમાં ના મૂકી શકો તો that is poor communication!...તો વધારે પૂર્વ ભૂમિકાઓ બાંધ્યા કરતા..લો શેર જ જોઈ લો..

લ્યો કરૂં કોશીશ ને ફાવે તો કહું
શબ્દ જો એને સમાવે તો કહું

ઘણા લોકોને વાત કર્યા કરવાની ટેવ હોય છે..સામે વાળાની સાંભળવાની ઈચ્છા હોય કે નહિ..જ્યારે સામેની વ્યક્તિને વાત સાંભળવાની તૈયારી હોય અને તમે વાત કહો તો એ વાતની ચોક્ક્સ અસર થતી હોય છે..

કોઈને કહેવું નથી એવું નથી
સહેજ તૈયારી બતાવે તો કહું

હવે પછીનો શેર..કંઈ પણ કહ્યા વગર સીધો સમજાઈ જાય એવો..

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં
એકદમ નજદીક આવે તો કહું

આ શેરમાં કવિનું તત્વજ્ઞાન જુઓ..મન જ્યારે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં હોય ત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની ઈચ્છા જ હોતી નથી..એ શાંત જળ જેવું હોય છે..

શાંત જળમાં એક પણ લહેરી નથી
કોઈ થોડું ખળભળાવે તો કહું

અને છેલ્લે તત્વજ્ઞાની કવિનો રોમેન્ટિક શેર...એમાં પણ એ communicationને નવી ઉંચાઈ પર લઈ જાય છે..સામાન્ય રીતે સંવાદમાં શબ્દની જરૂર પડે..પણ જ્યારે ખાસ વ્યક્તિની વાત હોય જેની સાથે શબ્દોના સંવાદનું stage પસાર થઈ ગયું છે.. પછી તો નજરથી જ સંવાદ થતો હોય છે..

આપની નજરો જે ફરમાવી રહી
એ ગઝલ જો યાદ આવે તો કહું

શનિવાર, મે 12, 2007

ગઝલ મનોરંજન

થોડી જુની post તપાસો તો માલૂમ થશે કે મેં શ્રી મનોજ ખંડેરિયાની ગઝલના રસાસ્વાદ વખતે એમની બીજી એક ગઝલ જેમાં ગઝલ એ શાયર માટે શું મહત્વ ધરાવે છે એની વાત ફરી ક્યારેક કરવાની મે વાત કરી હતી..અને આજે કદાચ એ 'ફરી ક્યારેક' થઈ લાગે છે..

શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે...

એમની ગઝલ માણીએ,

આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે...આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને 'જીવવું' કહીએ છે પણ..


પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે


હવે પછીનો અદભૂત શેર...વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ...આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર 'જીવો' છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..


આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે


મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે....પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..


આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે


અને છેલ્લો શેર...તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ 'stage' સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..


તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

રવિવાર, એપ્રિલ 29, 2007

રમતથી જે ડરે છે...

આજે વાત કરવી છે શિકાગોમાં ઠરી ઠામ થયેલા પણ મૂળ જામનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને શિકાગોના સંપૂર્ણ પ્રદેશમાં મિત્રોની મદદ લઈને 'શિકાગો આર્ટ સર્કલ' દ્વારા ગુજરાતી સહિત્ય અને કલાની વિવિધ એક્ટિવીટીમાં પ્રવ્રુત્ત છે અને ગુજરાતી કવિતાને ત્યાં ધબકતી રાખી છે એ અને એ બધાથી વિશેષ તો એક મૂઠ્ઠી ઊંચેરા કવિ જેમની કવિતામાંનુ તત્વજ્ઞાન જોઇ બહુ સહેલાઈથી તમને શ્રી રાજેન્દ્ર શુક્લ યાદ આવે, એવા શ્રી અશરફ ડબાવાલાની ...

એમનો અંદાઝે-બયાં તો જુઓ...

જો આપ તો શબ્દોમાં મને કોઇ છટા દે,
નહિતર તું મને મૌનમાં મોકાની જગા દે.

એમની એક સુંદર ગઝલ માણીએ..

વિલ-ડુરાં કહેતા કે આપણે જે દિવસે રમતના મેદાનમાં રમવાનું છોડીને બાજુમાં બેસીને તાલીઓ પાડવા માંડીશુ તે દિવસે આપણે જિંદગીની રમત હારી જઈશું..વાત છે કોઈ પણ મુશ્કેલ પરિસ્થીતિ સામે લડવાની - એમાં રમવાની - પીઠ બતાવવાની નહિ.. આ જ વાતને કેન્દ્રમાં રાખીને કવિ આપણને એક નિર્દોષ સવાલ પૂછે છે, જેનો અર્થ સમજાય ત્યારે આપણે અંદરથી હચમચી જઈએ..

રમતથી જે ડરે છે એના ભયના કેન્દ્રમાં શું છે?
રમતમાં જીતનારાના વિજયના કેન્દ્રમાં શું છે?


આપણી આસપાસ ચોમેરના અવાજો, અવાજો, અવાજો અને અવાજો આપણી અંદરની શાંતીને ખળભળાવી નાખે ત્યારે ?

અવાજો નાદ ને શબ્દો બધાથી થઈ ગયા માયૂસ;
હવે તો મૌનને પૂછો કે લયના કેન્દ્રમાં શું છે?

કોઈ વખત વાત કહેવાઈ પણ ના હોય અને એવી વાત હોય કે એ કહેતા જીભ ઉપર મણ મણનું વજન અનુભવાતુ હોય ત્યારે સાંભળનારને એ સંકોચ, હિચકિચાહટ જ ઘણુ બધુ કહી જતો હોય છે...

બિચારી વાત તો જીભે જ આવીને ઠરી ગઈ'તી;
અને સૌ જાણવા માંડ્યા વિષયના કેન્દ્રમાં શું છે?

દિવસ રાત ધબક્યા કરીને જે લોહીને શુધ્ધ રાખે છે એ હ્રદય અને સતત આવન-જાવન કરીને શરીરને ચાલતું રાખનાર શ્વાસોની આપણને બહુ કિંમત નથી હોતી જ્યાં સુધી બધુ બરાબર ચલે ત્યાં સુધી...

ધબકતું લોહી ને શ્વાસો ઢળીને સાંજ થાશે, ને -
તને તરત જ ખબર પડશે હ્રદયના કેન્દ્રમાં શું છે?

સુરજ ઢળે ત્યારે જો આપણે જાગતા હોઈએ તો આપણને ખ્યાલ આવે છે એના અસ્તનો...પણ હજુ આપણી બુધ્ધી પાસે સૌર્ય મંડળની હયાતી, એના સંચાલન - સુરજનું ઉગવુ આથમવુ, બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યુ એના માટે 'બિગ બેંગ' જેવી અપૂર્ણ થિયરી સિવાય કોઈ સજ્જડ જવાબો નથી, એના માટે તો હજુ સ્વપ્ન જેવી અવસ્થા જેમાં આપણું 2/3 અજ્ઞાત મન સહુથી વધુ જાગ્રુત હોય છે એના પર જ આધાર રાખવો પડે! હવે આ વાતને બે પંક્તિમાં મૂકવા માટે તમારે મોટા ગજાના કવિ અને એથી મોટા ગજાના વિચારક હોવું ઘટે...

ભલેને અસ્ત સૂરજનો તને આંખો જ સમજાવે;
તને સપનું જ કે'શે કે ઉદયના કેન્દ્રમાં શું છે?

અને બે છેલ્લા મને સૌથી ગમતા શેર..

બે માણસો ભેગા થાય જિંદગીભર જીવવા માટે..પતિ-પત્ની તરીકે..તો એક્બીજાની સામસામે કે સાથસાથે ઉભા રહીને એકબીજા સમજવાનો પ્રયત્ન કરવા કરતા એકબીજા તરફ પીઠ રાખીને એમના સંસારના વર્તુળના પરિઘ જેવા વિશ્વ માટે જીવે છે..લોકોને કેવું લાગશે? પણ બાજુમાં જ સાથે કેન્દ્રમાં ઉભેલા જોડીદારનું શું??

અહીં બે માણસો જીવે બનાવી વિશ્વને વર્તુળ;
પરંતુ બેઉના જાણે ઉભયના કેન્દ્રમાં શું છે?

આપણા દરેક માટે રોજ-બરોજની સમસ્યાઓ અને એનો ઉકેલ એ દ્રોણે અર્જુનને આપેલ ચકલીની આંખ વિંધવાની કસોટી જેવી છે.. અને આ સમસ્યાઓથી થાકીને જો વિષાદ ઉતપન્ન થાય કે આ સઘળું વ્યર્થ છે તો એની પાસે તો દ્રોણ હતા..સમસ્યાનો ઉકેલ સમજાવવા..પણ મારા તમારા જેવા દ્રોણ વગરના અર્જૂનોનું શું?

મને આ ઝાડ, ચકલી, વ્યોમ સઘળું વ્યર્થ લાગે છે;
મને હે દ્રોણ! સમજાવો સમયના કેન્દ્રમાં શું છે?

શનિવાર, એપ્રિલ 21, 2007

તો?

શ્રી ચીનુ મોદી એટલે ગુજરાતી કવિતાનો આજનો જાજરમાન અને દબદબાભર્યો પડાવ અને એમના શેરનો મિજાજ તો જુઓ..


ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ પણ,
કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર


એમની એક અભૂતપૂર્વ ગઝલ આજે માણીએ..

આપણા આજના યુગની ખુશનસીબી છે કે સગવડો તીર ઝડપે વધી છે અને સાથે જ એ બદનસીબી છે કે ચિંતાઓ એથી પણ વધુ ઝડપે વધી છે..યુવાન હોય અને વડિલોની આમન્યા રાખતો હોય અને મિત્રોની સોબતમાં એક-બે વ્યસન પાળ્યા હોય એને ચિંતા હોય છે શ્વાસની દુર્ગંધની પકડાઈ જવાની..અને એ જ યુવાનીને જો વિજાતિય આકર્ષણ થયું હોય અથવા કોઈ મિડ-લાઈફ ક્રાઈસિસ વાળા જણે જો લગ્ન બહારનું સાહસ કર્યું હોય તો બીક હોય છે ચર્ચાઈ જવાની..

શ્વાસમાં છલકાય છાની ગંધ તો,
ને બધે ચર્ચાય આ સંબંધ તો?

હવેના શેરની વાત જુઓ..કોઈ તમને એક પંક્તિ સંભળાવે જેમાં મોરનો ટહુકો એના કંઠમાંથી નિકળવાની વાત હોય.તમે વિચાર્યા કરો કે કવિ બીજી પંક્તિમાં આ ટહુકાનું શું કરશે? પણ સાથે સાથે એક આડવાત..કે આપણે આપણા હાથે જ આપણા યુગને એવી દિશામાં લઈ જઈ રહ્યા છીએ જેમાં મોરનો ટહુકો કોઈ વાસ્તવિક નહિ પણ પરિકથામાં આવતી વાત લાગે!

કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો?

મને-તમને કોઈ આંસુની વાત કરે અથવા આંખમાં આંસુ આવે તો આપણો હાથ આંસુ લૂછવા માટે આંખ તરફ જાય કે વિચારો આંસુ પાછળના સુખ અથવા દુ:ખ તરફ જાય..પણ આ કવિ આટલી નાની બહેરના(ટૂંકી પંક્તિના) શેરના બીજી પંક્તિમાં વાતને કેટલી ઉંચી કક્ષા પર લઈ જાય છે..

આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પે...લો ઋણાનુબંધ તો?

અને છેલ્લો શેર..જે વાત ચીનુ મોદી જ કરી શકે..

આપણે સમય સાથે હંમેશા સમય પસાર કરીએ છીએ પણ કોઈ વાર એની સાથે છેડછાડ કરતા નથી..ઊંડા ઉતરતા નથી એમાં..કેમ? આપણે હકિકતમાં કોઈ પણ વસ્તુમાં ઉંડાણમાં જતા નથી..કારણ આપણને બીક છે કે એ ઉંડાણમાં આપણે ખોવાઈ જઈશું તો? એ ખુદથી લાગતી બીક પણ આપણે પ્રામાણિકતાથી સ્વિકારી શકતા નથી અને પોતાનાથી નહિ પણ કોઈ બીજુ આપણને સમયમાં બંધ કરી દેશે કે પેલા ઊંડાણમાં પૂરી દેશે તો?


હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો?

રવિવાર, માર્ચ 25, 2007

સાલું લાગી આવે

શ્રી મુકેશ જોશી એટલે શ્રી સુરેશ દલાલના શબ્દો માં ગુજરાતી ભાષાની ઉજ્જળ આવતી કાલનું અજવાળુ...

ગુજરાતી ગઝલ એના પ્રારંભિક તબક્કામાં ઉર્દુ શબ્દોથી છવાયેલી હતી પણ ધીમે ધીમે શયદા સાહેબના સમયમાં શુધ્ધ ગુજરાતીમાં લખાવા લાગી જેમકે શયદા સાહેબનો જ ઈશ્વર હોવાની તરફેણમાં લખાયેલો આ શેર,



હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર


પછી તો ઘણા માતબર નામોએ ગુજરાતી ગઝલમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. એક નવી તરહનો પડાવ પણ આવ્યો શ્રી નયન દેસાઈ..જે આ રીતના શેર આપે કે,


જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો, મુકામ પોસ્ટ માણસ
ભીંતોને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો, મુકામ પોસ્ટ માણસ

આ વાત એટલા માટે કરી કે અત્યારે જે ગઝલનો રસાસ્વાદ કરવાના છીએ તે એટલે કે આજની ગુજરાતી ગઝલ...અત્યારની બોલચાલની ભાષા, હું-તમે રોજિંદા વ્યવહારમાં વાપરીએ તે ભાષામાં જ પણ તો પણ વિચારની એક નવી સૃષ્ટીમાં લઈ જાય એવી વાત લઈને આવે છે..વાતમાં વધુ મોણ નાખ્યા વગર સીધા ગઝલ માણીએ..

મત્લાનો શેર જુઓ.. ઝાડ જે એનાં પાંદડાને લીધે ભર્યું ભર્યું છે..એને જ્યારે પાનખર બેસે ત્યારે પાન વગરના ઝાડને જોઈને શું થાય? સાલું લાગી આવે..અને જંગલ જેની પ્રક્રુતિ એકાંતપ્રિય છે, ત્યાં માણસ પહોંચે..પિકનિક કરવા અને જંગલના વ્હાલકડા એકાંતને ખળભળાવે તો શું થાય? સાલું લાગી આવે..


પાનખરોમાં પાન ખરેને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે

કોઈ માણસને તમે વર્ષોથી જોતા હો, કોઈ ધ્યેય પામવા માટે..અને એમ જ લાગતું હોય કે ગમે ત્યારે એ મંઝિલ મેળવી લેશે..અને તમને ખબર પડે કે કોઈ સંજોગોવશાત કે મનવશાત એનુ ધ્યાન ભંગ થયુ અને એ ધ્યેય માટે હવે એ મહેનત નથી કરતો તો?

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે

હવે પછીના શેરને માટે કંઈ લખવા જેવું નથી...

સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળેને, ત્યારે સાલું લાગી આવે


અને ગઝલનો છેલ્લો શેર..જાને ગઝલ શેર..
તમારે કોઈ સાથે દુશ્મની હોય વર્ષોથી અને નાની લડાઈઓથી તમે કંટાળ્યા હો અને એક વાર નક્કી કરો કે આ પાર કે પેલે પારની એક આખરી લડાઈ કરી લઈએ..અને તમે બધ્ધી તૈયારીઓ કરો અને પછી દુશ્મનને પડકારી લાવો સમરાંગણ..રહસ્યના સ્ફોટ માટે શેર જ માણીએ...


તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળેને, ત્યારે સાલું લાગી આવે

શનિવાર, માર્ચ 17, 2007

સંસાર છે ચાલ્યા કરે...

આજે for a change મારી ગઝલ...


ખૂબ ઊંડા વેદનાના ઘાવ છે, સંસાર છે ચાલ્યા કરે
ચામડી નીચે સળગતી આગ છે, સંસાર છે ચાલ્યા કરે

આપણે સાથે મળી વર્ષો લગી જેને બનાવ્યા ધારદાર,
પીઠ ઉપર એ ખંજરોનો ભાર છે, સંસાર છે ચાલ્યા કરે

સહેજ અમથી આંખ ભીની થઈ હશે એ તો કબૂલ,પણ થાય શું?
સત્યને દફનાવવાની વાત છે, સંસાર છે ચાલ્યા કરે

એ તને આવી મળે કે ના મળે એ શક્યતાનો આમ તો,
ડોર પર શ્રદ્ધાની બસ આધાર છે, સંસાર છે ચાલ્યા કરે

શનિવાર, માર્ચ 10, 2007

તારું પહેલા વરસાદ સમું આવવું


ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિંતા ધોધમાર આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

-શ્રી રમેશ પારેખ

શનિવાર, માર્ચ 03, 2007

એક ભૌમિતિક ગઝલ...

ફરી સૂરતનો વારો...એવું એક નામ જેણે ગઝલના માળખાને એમનુ એમ રાખીને, અંદરના કલેવરને ધરમૂળથી બદલી નાંખ્યુ..માન્યામાં નથી આવતું ને..તો જાણી લો એ નામ એટલે શ્રી નયન દેસાઈ અને માણો આ ગઝલ...



લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે

રવિવાર, ફેબ્રુઆરી 18, 2007

શબ્દો જ કંકુને ચોખા...

વાત આજે માંડવી છે જુનાગઢના રેશમી શાયર..શ્રી મનોજ ખંડેરિયાની, કઠોરમાં કઠોર વાતને પણ એ શાયરે નાજૂકાઇથી જ કાયમ મૂકી આપી છે અને તે પણ સંપૂર્ણ અસરકારક રીતે..

બીજુ એ કે, Corporate Worldમાં કે Managementની વાતોમાં જે Core Competencyની વાતો થઈ છે..જે મુજબ કંપનીએ પોતાના Main Business પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ..બહુ દિશાઓમાં પ્રયત્નો કરીને effort dilute ના કરવા જોઇએ...એ વાતને આ શાયરે પોતાની જીંદગીમાં ઉતારી..માત્ર ગઝલનો જ કાવ્ય પ્રકાર ખેડીને..અને એમાં એમણે હાંસલ કરેલી ઉંચાઈઓ તો મારી તમારી નજર સામે જ છે..

ગઝલ એ મનોજ ખંડેરિયા માટે મનોરંજન નહી પણ પ્રાણવાયુ હતી, એની વાત ફરી ક્યારેક..પણ અહીં જે ગઝલ કહેવી છે એ પણ કવિ માટે કવિતાનો શબ્દ કેટલો અગત્યનો છે એની વાત છે..જીવનમાં માણસ સૌથી વધુ મહત્વ લગ્નપ્રસંગો કે પછી તહેવારોને આપતો હોય છે અને એ મહત્વના પ્રસંગોમાં તીલક કે સાથિયા કે પૂજન માટે કંકૂ અને ચોખાની જરુર પડે..પણ આ કવિને તો જુદી રીત રસમો અનુસરવી છે..


રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા


આપણે બધા માણસો ઉપર ઉપરથી વ્યવસ્થિત લાગીએ - જાણે કે બાકસના up-to-date ખોખા..પણ કવિએ શેરના ઉલા મિસરામાં (પહેલી લાઈનમાં યાર...) પોલ ખોલી નાખી છે અંદરના માલની!


હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં


સ્વ્પ્નો જોવાની આપણને બધાને ટેવ અને છૂટ...અને એ લીલાછમ પણ હોય છે જ્યાં સુધી એ સ્વ્પ્ન-પાત્ર જીવનનુ મધ્ય કેન્દ્ર હોય છે..પણ એ પાત્રના કાયમી ગમન પછી કે એની શક્યતાઓ સાવ સૂક્કી થઈ જાય તો કદાચ આવો શેર આવે...


લચ્યા'તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં


આ ઈશ્વર નામનો મહા પુરુષ આપવાની વાત આવે ત્યારે અપેક્ષા મુજબની વસ્તુ જ આપે છે પણ એનું સ્વરૂપ બદલી નાખે છે..પણ એ તો એની ટેવ છે..


તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા


પાપોનું પ્રાયશ્ચિત કરવું હોય કવિને તો..એ કલમમાંથી શબ્દો રૂપી ગંગા વહાવે..કદાચ કવિતા લખવાનું પાપ એનાથી ધોવાઈ જાય...


વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

બુધવાર, ફેબ્રુઆરી 07, 2007

ઉદાસી...

શ્યામ સાધુનું નામ આવે એ સાથે, વીજળીનો ઝબકારો થાય એમ આ એક ગઝલ મગજમાં અચૂક આવે...

કોઇની યાદની ઉદાસી ઉપરનો આટલો સુંદર શેર જવલ્લે જ મળે...

ક્યાંક ઝરણાની ઉદાસી પત્થરોની વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે.

દોસ્ત, મ્રુગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહિંયા તરસ, ત્યાં વાદળી ઉંચે ચડી છે.

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહો છો એ અહીં ઠેબે ચડી છે.

ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે