શનિવાર, ઑગસ્ટ 16, 2008

ટેબલ વિશે ગઝલ.....નયન દેસાઈ

એક પ્રયોગખોર ગઝલકારની ગઝલ -

થાક હવે ડૂબતા સૂરજની જેમ ઢળે છે, લ્યો, ટેબલને તાળું મારો !
સાંજ પડી ને છતમાંથી એકાંત ગળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આમ જુઓ તો આ ટેબલ પર ડાઘ પડ્યા છે કૈં વરસોના, કૈં સ્વપ્નોના,
એમ વિચારો ત્યાં ભીતરથી કૈંક બળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

કાલ ઊઠીને આ ટેબલને ડાળ ફૂટે તો એને ટેકે જીવતર ચાલે.
કઈ ઓફિસમાં હોવાની સી.એલ. મળે છે ? લ્યો, ટેબલને તાળું મારો !

રોજની જેમ જ લોઢ ઊછળતા ટેબલ પૂરમાં, આખી ઓફિસ ડૂબવા માંડી,
હાથ હજી પણ ફાઈલના વનમાં રઝળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આ જ હતું ટેબલ કે જેણે ફૂલગુલાબી મઘમઘતા કૈં પત્રો વાંચ્યા,
આજ હવે ખાનામાં 'જનકલ્યાણ' મળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

શુક્રવાર, ઑગસ્ટ 15, 2008

પછી પણ - ચંદ્રેશ મકવાણા 'નારાજ'

ગુજરાતી કવિતાનો નવો અવાજ અને મિજાજ.



એકાદ સ્વપ્ન આંખને અડકી ગયા પછી પણ,
હું જીવતો રહ્યો છું, સળગી ગયા પછી પણ.

કોરો હતો હું, પલળ્યો, પાછો થયો છું કોરો,
ક્યાં ફેર કંઈ પડ્યો છે, સુધરી ગયા પછી પણ.

એકાદ પાંદડીએ અકબંધ તો નથી ને?
આવી રહ્યા છે જોવા, મસળી ગયા પછી પણ.

જાકારો આપવાની જગ્યા જ ક્યાં રહી છે?
ભટકી રહ્યા છે રાઘવ, શબરી ગયા પછી પણ.

પાંપણ જરા ન ફરકી, નિષ્ઠુર ગાળિયાની,
આખા નગરની આંખો પલળી ગયા પછી પણ.

મૂરખો છે સાવ મૂરખો 'નારાજ' મૂળમાંથી,
બોલી રહ્યો છે સત્યો, સમજી ગયા પછી પણ.

ગુરુવાર, ઑગસ્ટ 14, 2008

મારું જીવન એ જ મારી વાણી - ઉમાશંકર જોશી

આઝાદી નામની ઘટના માટે જેનું મોટું યોગદાન હતું એવા વ્યક્તિત્વને યાદ કરીએ, શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં.

સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ


મારું જીવન એ જ મારી વાણી,
બીજું એ તો ઝાકળ પાણી.

મારા શબ્દો ભલે નાશ પામો,
કાળ ઉદર માંહી વીરામો.
મારા કૃત્ય બોલી રહે તો ય,
જગ એ જ કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આધાર,
જેમાં સત્યનો જયજયકાર.
મારું જીવન એ જ મારી વાણી...........

સત્ય ટકો, છો જાય આ દાસ,
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી,
એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મૃત્યુ સ્વદેશ,
મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન એ જ મારી વાણી...........

બુધવાર, ઑગસ્ટ 13, 2008

નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો - શેખાદમ આબુવાલા

શ્રી શેખાદમ આબુવાલાનું નામ સાંભળ્યું છે, અવાજ સાંભળ્યો છે? જો હા, તો એની યાદ તાજા કરો અને જો ના, તો એ કેવો હશે એવો પોતાની જાતને કોઈ વખત પૂછાઈ જતા પ્રશ્નનો ઉત્તર આપો.


તા.ક. : અને હા કોઈ વખત સૌમિલ મુનશી મળી જાય ને મૂડમાં હોય તો અદ્દલ શેખાદમની સ્ટાઈલમાં એમની ગઝલ સાંભળવી ભૂલશો નહિં.


નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો,
એ રીતે કંઈકવાર અકારણ ખુદા મળ્યો.

આ બે ઘડીને માટે જમાના વીતી ગયા,
લાખો યુગો વીત્યા પછી બે ક્ષણ ખુદા મળ્યો.

છે સર્વવ્યાપી એટલે એમાં નવું નથી,
મંદિરમાં ઝાંખી જોયું તો ત્યાં પણ ખુદા મળ્યો.

થાકીને બંદગીથી અમે કોશિશો કરી,
જ્યારે અમારું થઈ ગયુ તારણ, ખુદા મળ્યો.

એ છે, નથી, હશે અને ના હોઈ પણ શકે,
કરવા ગયો જ્યાં એનું નિવારણ ખુદા મળ્યો.

પયગંબરી નથી મળી તો પણ થઈ કમાલ,
ઊંચુ હશે અમારુંય ધોરણ, ખુદા મળ્યો.

આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.

[સાભાર - સર્જક અને શબ્દ સંપુટ 4]

નોંધ - શ્રી સુભાષ શાહે 'સર્જક અને શબ્દ' અભિયાન હેઠળ પાંચ સંપુટ આપ્યા છે - જે દરેક સંપુટમાં દસ ઓડિયો સીડી છે અને એક સંપુટની કિંમત 500 રુપિયા. એમનો સંપર્ક કરી શકાય - 9426080185. યુ.એસ.એ. કે ઓસ્ટ્રેલિયાની સંપર્ક માહિતિ અને દરેક સંપુટની વધારે વિગતો http://gujaratexclusive.com/contact.html

મંગળવાર, ઑગસ્ટ 12, 2008

અમને દોડાવ્યા – મનોજ ખંડેરિયા



ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

Quiz – મક્તાનો (છેલ્લો) શેર વાંચીને તરત ‘વરસોના વરસ લાગે’ ગઝલનો કોઈ શેર યાદ આવે છે??

સોમવાર, ઑગસ્ટ 11, 2008

ગઝલમ શરણમ ગચ્છામી - હરદ્વાર ગોસ્વામી

મારા પ્રિય મીત્ર કવિ અને સફળ સંચાલક હરદ્વાર ગોસ્વામીની એક સુંદર ગઝલ આજે એના પોતાના અવાજમાં -


દોસ્ત, ધજા થઈ ગઈ પત્થરની, ગઝલમ શરણમ ગચ્છામી,
પોલ ખૂલી ગઈ સહુ ઈશ્વરની, ગઝલમ શરણમ ગચ્છામી.

આંસુને અત્તર કરવા સપનાનો સૂરમો આંજ્યો, પણ-
ઉંઘ ઉડી ગઈ છે બિસ્તરની, ગઝલમ શરણમ ગચ્છામી.

નવસો નવ્વાણું દરવાજે તારા સ્વસ્તિક ચિતરાશે,
સાંકળ વાસી દે તું ઘરની, ગઝલમ શરણમ ગચ્છામી.

કલ્પતરુના છાયા ઓઢ્યા તો પણ તડકા રગરગમાં,
અઢળક પીડાઓ અંદરની, ગઝલમ શરણમ ગચ્છામી.

એકે તો ઓગળવું પડશે, કેમ સમાશું બન્ને જણ,
ગલી સાંકડી પ્રેમ નગરની, ગઝલમ શરણમ ગચ્છામી.

હવે પાંપણોમાં અદાલત ભરાશે....રમેશ પારેખ/પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌ પ્રથમવાર આ બ્લોગ પર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકન અને એમના જ અવાજમાં એક રમેશ પારેખની ગઝલ -



હથેળી બહુ વ્હેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.*

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

મને આ નગરમાં નિરાધાર છોડી,
-ને રસ્તા બધા કોની પાછળ ગયા છે.

આ તડકામાં આંખોપણું યે સુકાયું,
હતી આંખ ને ફક્ત ખાડા રહ્યા છે.*

છે, આકાશમાં છે ને આંખોમાં પણ છે,
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણાં છે.

કહે છે કે તું પાર પામી ગયો છે,
પરંતુ અસલમાં એ દરિયો જ ક્યાં છે.*

પહાડો ઊભા રહીને થાક્યા છે એવા,
કે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે.

મને ખીણ જેવી પ્રતીતિ થઈ છે,
કે હું છું ને ચારે તરફ ડુંગરા છે.

ગઝલ હું લખું છું અને આજુબાજુ,
બધા મારા ચહેરાઓ ઊંઘી રહ્યા છે.

નોંધ: છ અક્ષરના નામે લખેલા * કરેલા શેર, પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયા નથી.

શનિવાર, ઑગસ્ટ 09, 2008

ગઝલરૂપ! - ફકીર

વાત આજે માંડવી છે 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં થયેલી ગઝલ(જેવી) રચનાઓની. કહેવાય છે કે શયદા સાહેબે ગુજરાતી ગઝલને એના સાચા અંતર સ્વરૂપ (ગુજરાતી પણું) અને બાહ્યરૂપ (શુધ્ધ છંદ, રદીફ, કાફિયા) સાથે રજૂ કરી - એમનો આજથી કેટલાય દાયકાઓ પહેલા લખાયેલો આ શેર જુઓ - એનો અદભૂત આધુનિક રદિફ જુઓ :
હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ, વિચાર.

પણ એમની પહેલાના કવિઓ એટલે કે કલાપી, બાલાશંકર કંથારિયા, દિવાનો, ફફીર વગેરે ઘણા બધાએ મહદઅંશે ગઝલનું રૂપ જાળવીને જે રચનાઓ આપી - એક રીતે જોતા આજની લખાતી ગુજરાતી ગઝલની ઈમારતના પાયા જેવી - એ પાયામાંની એક ઈંટ આજે સ્મરીએ.. રચના છે ફકીરની. એમનામાં ચીનુ મોદીને આદીલ સાહેબનો પૂર્વજ દેખાય છે - તમને શું લાગે છે?

વ્યથાઓ જીવનની અદા થઈ ગઈ;
અદાઓ તમારી બલા થઈ ગઈ.

વફાની ન ખાહિશ રહી છે હવે -
વફાઓ અમારી ખતા થઈ ગઈ.

તસલ્લી હતી દિલને તદબીરથી-
ઘડીભરની કિસ્મત ફના થઈ ગઈ.

વિરહની નવાજિશ થઈ પ્રેમમાં -
ખુશી જિંદગીથી ખફા થઈ ગઈ.

હૃદયની તમન્નાને દફનાવવા-
હજાર આફતો છે જમા થઈ ગઈ.

ભમે છે નિગાહો હવે ચોતરફ;
દિવાની અરેરે! હયા થઈ ગઈ.

તિમિર કંઈ દિસે છે નજરમાં હવે;
વિરહ-રાત્રિઓ, શું ઉષા થઈ ગઈ.

નિહાળીને એને ગઝલ-રૂપમાં -
'ફકીર' જાન મારી ફિદા થઈ ગઈ.

શુક્રવાર, ઑગસ્ટ 08, 2008

લાગણીની તિજોરી - સરૂપ ધ્રુવ

પોતાની તેજાબી કલમ માટે જાણીતા કવિયત્રી શ્રી સરૂપ ધ્રુવની એક ગઝલ,


સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે? આ શાનો ધખારો?

અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં? ફરી શો તમાશો?

મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે! પીગળી ક્યાં બરફની વખારો?

હતી ચોતરફ બસ, સફેદી-સફેદી...
અહીં ગોઠવી'તી મેં મારી જ લાશો.

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

ચલો! લો, ઉઠાવો આ લંગર ગઝલનું,
અંજળ ઊઠ્યાં છે, રુઠ્યો છે કિનારો!

[નવનીત સમર્પણ, માર્ચ, '85માંથી સાભાર]

ગુરુવાર, ઑગસ્ટ 07, 2008

કાગળના કોડિયાનો - રવિન્દ્ર પારેખ/આશિત દેસાઈ

આજે શ્રી આશિત દેસાઈનું એક ખૂબસૂરત સ્વરાંકન એમના જ અવાજમાં – શ્રી રવિન્દ્ર પારેખના શબ્દો. ગીતમાં તાલનો કરેલો વિશિષ્ટ ઉપયોગ અને આલાપ દેસાઈએ એમાં જે રીતે સાથ નિભાવ્યો છે એ પણ દાદ પાત્ર છે....અને રસાસ્વાદ શ્રી તુષાર શુક્લ દ્વારા એમના પોતાના મિજાજમાં!



કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?,
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ, પછી ટહૂકાથી દૂર કેમ રહીએ?

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે એનો છેડો ભીંજાશ સુધી રાખમા,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું વરદાન મળે બળતા વૈશાખમાં,
બળવું જો કાજળની હોડી થઈ જાય, ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ.
કાગળના કોડિયાનો....

શ્વાસોની સળીયુંને ભેગી મેલીને કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન, એમ યાતનાને રંગ ફૂટે કાળો,
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ, ત્યારે મરવાથી દૂર કેમ રહીયે.
કાગળના કોડિયાનો....

નોંધ: શબ્દો સાંભળીને લખ્યા હોવાથી ક્યાંક ભૂલ જેવું લાગે તો તુરંત ધ્યાન દોરવા વિનંતિ.

બુધવાર, ઑગસ્ટ 06, 2008

હાંફી રહેલી આ મારી ક્ષણોને....

આજે મેં વર્ષો પહેલા લખેલું એક કાવ્ય....


હાંફી રહેલી આ મારી ક્ષણોને
તમે આશાનો સૂર એક આપો.
હું ક્યા કહુ છુ કે ગીત એક આપો,
આખું આ આયખુ આપો
આપી શકો તો સાથ બે ઘડીનો આપો,
થોડુ સાથે ચાલ્યાનું સુખ આપો

ક્ષણને તમે નામ દરિયાનું આપો, પણ અમને એ લાગે છે ટીપું,
દરિયો તમારો એ ઓગળે ટીપામાં એવો ઈલાજ કોઇ આપો.

ક્ષણ બને વરસો ને ક્ષણ બને આયખું એવી એકાદ ક્ષણ આપો

કાંઈ નહી તો મારી ઈચ્છા અધુરીનો વારસો મને પાછો આપો,
અડધા ફાલેલા બંધ હોઠોના સ્મીતથી 'તને કેમ ભૂલૂં?' સંદેશો આપો,

આટલું મળે યુદ્ધ જીંદગીનું જીતું, મને આટલો સરંજામ તો આપો.


- Was written in 1992 - 93

મંગળવાર, ઑગસ્ટ 05, 2008

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું...શ્યામ સાધુ

જુનાગઢે ગુજરાતને ગુજરાતી કવિતા આપી - નરસિંહ મહેતાથી....અને એને એટલી જ જડબેસલાક રીતે જે કવિતાને એમના પોતાના રસ્તે લઈ ગયા એવા કવિ શ્યામ સાધુની એક ગઝલ. બહુ જ સુંદર મત્લઅ, એની પાસે અટક્યા જ કરો અને આગળનો કોઈ પણ શેર ના વાંચો તો પણ છલોછલ છલકાઈ જાઓ! એ છતાં ઘરોઘર અને અગોચર કાફિયાવાળા શેર સુધી જવાનું ભૂલતા નહિ હોં?

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું!

શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું!

પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું!

કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું!

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું!

સોમવાર, ઑગસ્ટ 04, 2008

ધબકારાનો વારસ.... અશરફ ડબાવાલા

આજે મારા પ્રિય શાયર, શિકાગોવાસી શ્રી અશરફ ડબાવાલા...એમના કાવ્ય સંગ્રહનું શિર્ષક જે ગઝલ પરથી આવ્યું એ ગઝલ પેશ છે.


છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે'વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હૃદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

આ પથરાળા રસ્તાની ઠેસે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

રવિવાર, ઑગસ્ટ 03, 2008

ઘાયલોની મુલાકતે જતા પહેલા...કૃષ્ણ દવે



જી સાહેબ...
બધું જ તૈયાર કરી દીધું છે...
મગરના આંસુની બોટલ,
ચહેરા પર લગાડવાનો ગમગીનીનો પાવડર,
વખોડી કાઢવાના શબ્દોના પેકેટસ,
વિરોધીઓ પર આક્ષેપ કરવાનું પોટલું,
અને સાંત્વનાનું ભાષણ.

આ બધું જ તૈયાર કરીને આપના સામાનમાં પેક કરી દીધું છે.

અને હા સાહેબ, આપને ત્યાંથી સીધું જ ક્યાંક બીજે જવાનું થાય,
તો મૃતકો અને ઘાયલોની સંખ્યા તથા શહેરનું નામ - એટલું જ બદલવાનું રહેશે,
બાકી બધ્ધું જ એમનું એમ રહેશે, એમનું એમ......

શનિવાર, ઑગસ્ટ 02, 2008

બોમ્બ વિસ્ફોટ...કૃષ્ણ દવે

ગયા અઠવાડિયે બનેલી ઘટના પર શ્રી કૃષ્ણ દવેનું સંવેદન એમના જ અવાજમાં...હજી એનાથી ય આગળની ઘટના એમના જ અવાજમાં આવતી કાલે..









Powered by Podbean.com



ના રે ના કશું જ નથી થયું.
બધું જ રાબેતા મુજબ....


હા આજે ચિંટુનો જન્મ દિવસ!
તે, થોડા ફુગ્ગાઓ અને રંગીન કાગળોથી સજાવેલો હતો ડ્રોઈંગ રૂમ.

બરાબર 8-15 વાગે ડોરબેલ રણકી ઉઠી, તે હોંશભેર બારણું ખોલ્યું મમ્મીએ।
હેપ્પી બર્થ ડે કહી મોટું ગીફ્ટ બોક્ષ મમ્મીના હાથમાં પકડાવતા એક યુવતી બોલી, ક્યાં ગયો ચીંટુ?
ચિંટુ તો ક્યારનો ય છૂપાઈને બેઠો હતો કબાટની પાછળ.
મમ્મી એ કહ્યું, પણ તમે કોણ?
ઓહ! મને ના ઓળખી? હું એકવીસમી સદી,
હમણાં જ રહેવા આવી છું તમારી સોસાયટીમાં.
મમ્મી એ કહ્યું, આવોને. એણે કહ્યું, ના ઉતાવળમાં છું, ફરી ક્યારેક, અને એ જતી રહી.

અને મમ્મીએ ગીફ્ટબોક્ષ ખોલ્યું, તો અંદરથી નીકળ્યું,
લોહીમાં ઝબોળાયેલું પપ્પાનું આઈ કાર્ડ,
કપાયેલા હાથના કાંડા ઉપર 7-40 વાગે અટકી પડેલું ઘડીયાળ,
મુઠ્ઠીમાં સજ્જડ પકડાયેલું હેપ્પી બર્થ ડે લખેલું ગીફટ પેકેટ,

અને મમ્મી ધડામ દઈને નીચે ફસડાઈ પડી।


કબાટ પાછળથી દોડી આવેલો ચિંટુ બોલી ઉઠ્યો, શું થયું? મમ્મી શું થયું?


ના રે ના બીજું કશું જ નથી થયું,
નાના ઘરોમાં નાના નાના વિસ્ફોટ સિવાય!!!!!????

શુક્રવાર, ઑગસ્ટ 01, 2008

ડેવલપ - રઈશ મનીઆર

એક નવા પ્રકારના રદિફ સાથે, રઈશભાઈની નિતાંત સુંદર ગઝલ..આભાર સહ કવિતા અંક 245.

જો બરાબર થશે આ જ ક્ષણ ડેવલપ
એ જ કરશે સદીનું વલણ ડેવલપ

કો'ક્નો તેજમાં રંગ ઊડી ગયો
ને તિમિરમાં કો'ક જણ ડેવલપ

ઉપસે છે પળેપળ જીવનની છબી
થાય છે સાથે સાથે મરણ ડેવલપ

ફેંક જૂની છબી, નિત્ય માણસને જો
હરપળે થાય છે એક જણ ડેવલપ

વાઘ જેવા આ મોભીને એક જ ફિકર
વનમાં થાતાં રહે છે બસ હરણ ડેવલપ

વર્લ્ડમાં એમ વિકસ્યા રિલિજિયન બધા
કે પ્રભુ પર થયું આવરણ ડેવલપ

આપણે પણ રઈશ બોલશું, કંઈ જરૂર
થાય જો યોગ્ય વાતાવરણ ડેવલપ

ગુરુવાર, જુલાઈ 31, 2008

ઉપેક્ષામાં નહિ તો... જવાહર બક્ષી

ગુજરાતી કવિતામાં રસ પડવા લાગ્યો - 1990ની આસપાસ...અને તે પણ ગુજરાતી સુગમ સંગીતના માધ્યમથી...અને એ વખતે જે વારંવાર સાંભળવી ગમતી એવી એક ગઝલ... એ વખતે એવી ખબર નહોતી પડતી કે લાંબી બહેરની ગઝલ છે...શ્રી જવાહર બક્ષીની આ ગઝલ છે..કે જવાહર બક્ષીએ 'ફના' ઉપનામથી ગઝલો કરી છે..વગેરે વગેરે..પણ તો ય આ ગઝલ બસ ગમતી હતી...


ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એ કે એની રજાનો અનુભવ

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ

કદાચિત તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતિ તો થઈ'તી
મને જે ક્ષણે થઈ ગયો'તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી'તી
ફક્ત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો
તરત એ બીચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ

મને થોડી અગવડ પડી રહી'તી એથી 'ફના' ઘર બદલતા મેં બદલી તો નાખ્યું
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ

બુધવાર, જુલાઈ 30, 2008

જીવન-મરણ છે એક.....

કાલે ઘાયલ સાહેબની વાત નીકળી તો તરત પરંપરાના શાયરોમાં પણ અદબ પૂર્વક લેવાતું નામ તરત યાદ આવે...હા જી 'મરીઝ' સાહેબની જ વાત છે..એમની ગઝલ જેના નામ પરથી જગજીતજીએ એમના પહેલા ગુજરાતી આલ્બમનું નામ આપ્યું...પણ એ ગઝલ આશિત દેસાઈના સ્વરાંકનમાં અને હેમાબેનના અવાજમાં સાંભળવાની એક એની જ મજા છે....


તંતોતંત, વસંત અને અનંતના કાફિયા એમણે જે રીતે નિભાવ્યા છે એ વાંચો અને ઉમળકો આવી જાય તો એમને જ્યાં હોય ત્યાં પહોંચે એવી દિલપૂર્વકની દાદ આપો..



જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું - ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું 'મરીઝ'
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

મંગળવાર, જુલાઈ 29, 2008

ગુપત શું છે, પ્રગટ શું છે? - અમૃત ઘાયલ

આજે ગુજરાતી કવિતાના માતબર પ્રયોગશીલ શાયર...જનાબ અમૃત ઘાયલ. એમણે ગઝલને સહજપણે બોલી શકાય એવી ભાષાનો લહેકો આપ્યો. એમના મત પ્રમાણે "ગઝલને ક્યારેય દુર્બોધતા અભિપ્રેત હતી જ નહિં અને છે પણ નહીં." સંપૂર્ણ ગુજરાતીકરણ સાથે અસ્સલ સોરઠી ભાષાથી ઓપતો એમનો એક શેર જુઓ...

કસુંબલ આંખડીના એ કસબની વાત શી કરવી!
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.


હવે એમના અલગ મીજાજની એક ગઝલ માણીએ...બીજા બ્લોગ ચલાવતા મીત્રોને પંચમ શુક્લના કાકા શ્રી રાજેન્દ્ર શુક્લએ "શું છે" રદીફથી લખેલી જાણીતી ગઝલ લખવા આ સાથે આમંત્રણ આપું છું...

તલ તિલક લટ તખત મુગટ શું છે?
આ ગુપત શું છે આ પ્રગટ શું છે?

હોય જે સિધ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે?

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે પટ શું છે?

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે?

ડૂબવાની ન છૂટ તરવાની....
તો પછી સિંધુ શું છે તટ શું છે?

જૂઠને પણ સાચ માનું છું,
મારી જાણે બલા કપટ શું છે?

વહેલા મોડું જવું જ છે તો રામ!
શી ઉતાવળ છે એવી ઝટ શું છે?

કોઈ પણ વેશ ભજવે છે માનવ,
એ નથી જો મહાન નટ શું છે?

અંત વેળા ખબર પડી 'ઘાયલ',
તત્વત: દીપ શું છે, ઘટ શું છે?

સોમવાર, જુલાઈ 28, 2008

પીંછામાંથી મોર...મુકેશ જોશી

ગયા અઠવાડિયે હિતેનભાઈ મારે ત્યાં હતા, ત્યારે મુકેશ જોશી, જે એમના બહુ નજીકના મિત્ર છે, એમની સ્વાભાવિકપણે જ વાત નીકળી. બહુ સરસ વાત કરી હિતેનભાઈએ, કે કોલેજ પૂરી કરી ત્યારથી બંને એકબીજાને ઓળખે અને બંનેએ કવિતા કરવાની શરુઆત ત્યારે જ કરી..ઘણા કવિઓએ કવિતા લખવાની શરુ કરી હોય ત્યારની રચનાઓ જુઓ તો શરુઆતની રચનાઓ થોડી નબળી લાગે..પણ મુકેશ જોશીએ શરુઆતથી જ એકસરખી સારી રચનાઓ જ આપી છે..આમ કહી એમણે જે કવિતા સંભળાવી એ તમારી સમક્ષ મુકું છું..કદાચ મુકેશભાઈ જોડે હોય અને હિતેન આનંદપરાની વાત નીકળે તો એ પણ આવી કોઈ હિતેનભાઈના શરુઆતના દિવસોની સુંદર રચના કહે જ!

બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં?
કાલ સુધી તું લાગણીઓને પીંછાં પીંછાં કહેતી
એ પીંછાંઓમાંથી મોર થયો કે નહીં?


આછેરો સુણીને પગરવ ધડકી ઊઠતા હૈયાની
તું વાત માનવા હોય ભલે ના રાજી
ઢળતા સૂરજ સાથે તારી આંખોના મધુવનમાં
જોને મહેક લઈને ઉગી ઊઠે વનરાજી
પડી ભાંગતી મિલન તણી જો આશ, હૃદયની ચારેપા ભીનાશ
સમય બપોર થયો કે નહીં....બોલ....


સ્મિત તણાં પારેવાં તું ઉડાવે એને
આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
અને કોઈ ગમતાંની સાથે સીવી લેતી હોઠ
શબદ તો જાણે બધ્ધા હોઠ અને તું નામ ઘૂંટે મન માંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે
એ છોને મનગમતો પણ ચોર થયો કે નહીં...બોલ...